04 March, 2019 11:29 AM IST | નવી દિલ્હી
અમિત શાહના દાવા પર કોંગ્રેસના સવાલ
પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાએ કરેલી એરસ્ટ્રાઈક પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. અનેક વિપક્ષી દળોએ આતંકીઓ પર કરવામાં આવેલા આ હુમલાના પુરાવાઓ માંગ્યા છે. વાયુસેનાએ હજી સુધી એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા હજી નથી કહી. પરંતુ ભાજપ અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે એર સ્ટ્રાઈકમાં 250 આતંકી માર્યા ગયા. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે અમિત શાહ પાસે આંકડો ક્યાંથી આવ્યો?
કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ પૂછ્યું કે એર વાઈસ માર્શલ આરજીકે કપૂરનું કહેવું છે કે હુમલામાં કેટલા આતંકીઓ માર્યા ગયા તે કહેવું અત્યારે ઉતાવળભર્યું હશે. પરંતુ ભાજપ અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે એર સ્ટ્રાઈકમાં 250 આતંકીઓ માર્યા ગયા છે. શું આ એર સ્ટ્રાઈકને લઈને રાજનીતિ નથી કરવામાં આવી રહી છે?
મહત્વનું છે કે પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈકથી દરેક લોકો ચકિત છે. પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની કાર્રવાઈનો પુરાવો માંગી રહેલા વિપક્ષી નેતાઓને ભાજપ અધ્યક્ષ અમિત શાહે આડે હાથ લીધા. તેમણે કહ્યું કે,'આ નેતા સુરક્ષા દળોની બહાદુરી પર સવાલ ઉઠાવ્યા છે. કાર્રવાઈ પર શંકા કરી રહ્યા છે. ભારતીય નેતાઓના આવા નિવેદન સાંભળીને પાકિસ્તાન હસી રહ્યું છે. તેમને આનંદ મળી રહ્યો છે.'
આ પણ વાંચોઃ રાહુલના ગઢ અમેઠીમાં PM મોદીએ કહ્યું- અમારી સરકારમાં જ ઉડશે પહેલું રાફેલ
અમિત શાહે કહ્યું કે જો પાર્ટીઓ નરેન્દ્ર મોદી અને સુરક્ષા દળોની ઉપલબ્ધિની પ્રશંસા ન કરી શકે તો તે ચુપ રહે. ઉલ્લેખનીય છે કે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટ અને અન્ય બે સ્થળો પર આવેલા આતંકી અડ્ડાઓ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની વાયુસેનાએ ભારતીય સેનાના ઠેકાણાને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.