25 May, 2019 12:39 PM IST | દિલ્હી
File Photo
લોકસભાની ચૂંટણીમાં સતત બીજીવાર કોંગ્રેસને કારમી હાર મળી છે. ત્યારે હાર પર મનોમંથન કરવા માટે દિલ્હીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ આ બેઠકમાં યુપીએના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી અને અન્ય સીનિયર નેતાઓ બેઠકમાં સામેલ થયા છે. મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારતા અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાની રજૂઆત કરી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ બેઠકમાં રાજીનામું આપવાની રજૂઆત કરી છે. જો કે સોનિયા ગાંધી અને અગ્રણી નેતા મનમોહન સિંહ સહિતના સીનિયર નેતાઓએ રાહુલ ગાંધીનું રાજીનામુ સ્વીકારવાની ના પાડી છે.
નિષ્ણાતોના મતે રાહુલ ગાંધી રાજીનામુ આપીને કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારી રહ્યા છે. રાહુલ ગાંધી પક્ષના કાર્યકર્તાઓને કહેવા ઈચ્છે છે કે કોંગ્રેસના ખરાબ પ્રદર્શન માટે તેઓ જવાબદાર છે. 2014માં કોંગ્રેસે 44 સીટ જીતી હતી અને જ્યારે આ વખતે કોંગ્રેસે 52 બેઠકો પર જીત મેળવી છે. એટલે કે કોંગ્રેસને માત્ર આઠ સીટનો જ ફાયદો થયો છે. ત્યારે રાહુલ ગાંધી પોતાના આ પગલાં દ્વારા હારની જવાબદારી સ્વીકારી રહ્યા છે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે આવશે ગુજરાત
ત્રણ રાજ્યોમાં રાજીનામાનો દોર
આ દરમિયાન ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને ઓરિસ્સામાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે હારની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દીધું છે.