મોદી નેતા નહીં, અભિનેતા બચ્ચનને પીએમ બનાવ્યા હોત તો સારું થાત :પ્રિયંકા

18 May, 2019 01:06 PM IST  | 

મોદી નેતા નહીં, અભિનેતા બચ્ચનને પીએમ બનાવ્યા હોત તો સારું થાત :પ્રિયંકા

મિર્ઝાપુરની રૅલી દરમિયાન પ્રિયંકા ગાંધી

લોકસભા ચૂંટણી માટે પ્રચારના અંતિમ દિવસે કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બીજેપી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખૂબ હુમલા બોલ્યા. પ્રિયંકાએ મિર્ઝાપુરની રૅલી દરમિયાન પીએમ મોદીને ઍક્ટર બતાવ્યા એટલું જ નહીં, તેમણે પીએમ પર કટાક્ષ કરતાં કહ્યું કે એનાથી સારું તો અમિતાભને જ પીએમ બનાવી દેવા હતા. પ્રિયંકાની રૅલીમાં ઓમ પ્રકાશ રાજભરની પાર્ટીના સમર્થકો પણ જોવા મળ્યા જેઓ રાજભરની પાર્ટીના ઝંડા સાથે ઊભા હતા.

મિર્ઝાપુરથી કૉન્ગ્રેસના ઉમેદવાર લલિતેશ પતિ ત્રિપાઠી માટે પ્રચાર કરતાં પ્રિયંકાએ કહ્યું, મોદીજી, નેતા નથી, અભિનેતા છે. હવે તમે જ સમજી લો કે તમે દુનિયાના સૌથી મોટા અભિનેતાને પોતાના પીએમ બનાવી દીધા છે. એનાથી સારું તો તમારે અમિતાભ બચ્ચનને જ બનાવી દેવા હતા, કોઈ તમારા માટે કશું કરવાના નહોતા.

પ્રિયંકા આગળ કહે છે, જો મોદી ફરી પીએમ બનશે તો પાંચ વર્ષ વધારે પિક્ચર જોવું પડશે. આથી નક્કી કરી લો કોને વોટ આપવો છે, જમીન પર કામ કરનારા નેતા અથવા હવામાં ઊડનારાને? મોદી દરેક ચૂંટણીમાં નવી સ્ટોરી બતાવે છે. પહેલાં સ્ટોરી બનાવી કે ૧૫ લાખ રૂપિયા દરેકના ખાતામાં આવશે, પરંતુ એ ન થયું અને પછી નવી સ્ટોરી બનાવી. આ વખતે ખેડૂતો માટે નવી સ્ટોરી બનાવી અને કહ્યું કે ખેડૂતો માટે સન્માન યોજના લાવ્યા છીએ.

પ્રિયંકાએ મોદી પર નિશાન સાધતાં કહ્યું, આ ખેડૂત સન્માન નહીં, ખેડૂત અપમાન યોજના છે. તેમની આ યોજના હેઠળ જે ખેડૂતોને બે હજાર રૂપિયા પાછલા દિવસોમાં અપાયા છે એ પણ પાછા લેવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે જોઈ કોઈ પરિવારમાં ૧૦ લોકો છે તો પીએમની યોજના પરિવારની પ્રત્યેક વ્યક્તિને 1 રૂપિયો આપી રહી છે.

આટલું જ નહીં, રૅલીમાં પ્રિયંકાએ મોદીની નકલ ઉતારતાં કહ્યું, કાલે તેઓ મિર્ઝાપુર આવ્યા હતા અને કહી રહ્યા હતા, ભાઈ સપનાં જોવાં ખોટી વાત નથી. પ્રિયંકા આગળ કહે છે, પરંતુ ખોટાં સપનાં બતાવવાં ખૂબ જ ખરાબ બાબત છે. આ ચૂંટણી અમે લોકતંત્ર માટે લડી રહ્યાં છીએ. દરેક નાગરિકે જવાબદારીથી વોટ આપવો જોઈએ. પ્રિયંકાએ રૅલી પહેલાં રોડ-શો પણ કર્યો હતો.

આ પણ વાંચો:સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, સાવરકુંડલા, રાજુલામાં વરસાદ

રોડ-શો દરમિયાન એક જગ્યાએ બીજેપીના કાર્યકરોએ મોદી... મોદીના નારા લગાવ્યા હતા. રોડ- શો દરમિયાન મસ્જિદમાં અઝાન થતાં પ્રિયંકા ગાંધીએ એક તબક્કે પોતાનું ભાષણ રોકી દીધું હતું.

priyanka gandhi congress Election 2019