01 September, 2019 10:57 AM IST | નવી દિલ્હી
દિગ્વિજય સિંહનું વધુ એક વિવાદિત નિવેદન
દિગ્વિજય સિંહ ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. દિગ્વિજયે ભાજપ અને બજરંગ દળ પર હુમલો કરતા કહ્યું કે ભાજપ અને બજરંગ દળને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પાસેથી ફંડિંગ મળે છે. દિગ્વિજય સિંહ આટલામાં જ ન રોકાયા. તેમણે એવું પણ કહ્યું કે મુસ્લિમો કરતા ગેર મુસ્લિમો ISI માટે જાસૂસી કરી રહ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઈએ પોસ્ટ કરેલા એક વીડિયોમાં દિગ્વિજય સિંહ એમ કહેતા નજર આવી રહ્યા છે કે તેમણે કહ્યું કે ભાજપ અને બજરંગ દળ ISI પાસેથી પૈસા લઈ રહ્યા છે, તેના પર થોડું ધ્યાન આપવાની જરૂર છે. દિગ્વિજય સિંહના આ નિવેદનથી કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે. આ પહેલા રાહુલ ગાંધીએ કશ્મીર પર આપેલા નિવેદનના કારણે તેમને મુશ્કેલીઓ વેઠવી પડી હતી. બાદમાં રાહુલે સફાઈ પણ આપવી પડી હતી. આવામાં દિગ્વિજય સિંહના આ નિવેદન બાદ કોંગ્રેસની આલોચના થવાનું નક્કી છે.
આ પણ જુઓઃ પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો
વિવાદો અને દિગ્વિજય સિંહ
દિગ્વિજય સિંહનો વિવાદોનો જૂનો નાતો છે. આ પહેલા તેમણે ફેબ્રુઆરીમાં થયેલા પુલવામાં હુમલાને પણ દુર્ઘટના ગણાવી હતી. જેના કારણે તેની ખૂબ જ આલોચના થઈ હતી. તેમણે આ દરમિયાન કહ્યું હતું કે પુલવામાં દુર્ઘટના બાદ અમારી વાયુસેનાએ કરેલી એરસ્ટ્રાઈકને લઈને કેટલીક વિદેશી મીડિયામાં સંદેહ પેદા કરી રહ્યા છે, જેનાથી ભારત સરકારની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી રહ્યું છે.