19 July, 2020 04:45 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારત દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના કેસ દસ લાખને પાસ કરી ગાય છે એ એક ચિંતાનો વિષય છે. ત્યારે બીજી બાજુ વધુ એક આશ્ચર્યજનક સમાચાર આવ્યા છે. ઈન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA)નું કહેવું છે કે, દેશમાં કોરોનાનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. એટલે પરિસ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. કમ્યુનિટી ટ્રાન્સમિશનમાં વ્યક્તિને ખબર જ નથી હોતી કે તેને વાયરસનો ચેપ કઈ રીતે લાગ્યો. એટલે વાયરસનો સોર્સ શોધવો મુશ્કેલ બને છે અને આ બાબત ચિંતામાં વધારો કરે તેવી છે.
સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં ઈન્ડિયન મેડિકલ અસોસિએશન હૉસ્પિટલના બોર્ડ ઓફ ઈન્ડિયા ચેરમેન ડૉક્ટર વી કે મોંઘાએ ભારતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું હોવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોના વાયરસ હવે ઘાતક રીતે આગળ વધી રહ્યો છે. હવે તો દરરોજ 30,000 કરતાં વધુ કેસ નોંધાય છે. દેશ માટે આ સ્થિતિ બહુ ખરાબ છે. હવે તો વાયરસ ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યો છે, જે ખરાબ સંકેત છે. આ જ દર્શાવે છે કમ્યુનિટી સ્પ્રેડનો તબક્કો શરૂ થઈ ગયો છે.
વી કે મોંઘાએ વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હી જેવા મોટા શહેરોમાં હવે કોરોના કન્ટ્રોલમાં આવી રહ્યો છે. પરંતુ મહારાષ્ટ્ર. કર્ણાટક, કેરળ, ગોવા, મધ્ય પ્રદેશ જેવા રાજ્યો નવા હૉટસ્પોટ બની રહ્યાં છે.
ભારતમાં છેલ્લા કેટલાય દિવસોથી ચોવીસ કલાકમાં 30,000 કરતા વધુ કેસ નોંધાય છે. રવિવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, દેશમાં ચોવીસ કલાકમાં 38,902 નવા કેસ નોંધાયા હતા અને 543 દર્દીઓના મૃત્યુ થયા હતાં.