11 January, 2020 01:48 PM IST | New Delhi
ફાઈલ ફોટો
સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપતાં કહ્યું છે કે ચેક બાઉન્સ થવાના કેસમાં દંડિત થયા બાદ અપીલ દાખલ કરવા માટે ચેકની રકમની ૨૦ ટકા રકમ અદાલતમાં જમા કરાવવી ફરજિયાત છે. નિર્ધારિત રકમ જમા કરાવવાની આ જોગવાઈ ૨૦૧૮ પહેલાંના કેસમાં પણ લાગુ પડશે. હવે એવું કહીને નહીં બચી શકાય કે સંશોધન બાદમાં થયું છે અને કેસ તો જૂનો છે.
૨૦૧૮માં નેગોશિયેબલ ઇન્વેસ્ટમેન્ટ ઍક્ટની કલમ ૧૪૮માં સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધન હેઠળ ચેક બાઉન્સના એવા મામલા જેમાં આરોપીને દંડિત કરાઈ ચૂક્યા છે એમાં જો અપીલ દાખલ થાય છે તો એને માટે ચેકની રકમની ૨૦ ટકા રકમ અદાલતમાં જમા કરાવવી ફરજિયાત કરી દેવામાં આવી હતી. જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે કહ્યું હતું કે એ સ્પષ્ટ છે કે કલમ તમામ મામલામાં લાગુ પડશે. જો એ લાગુ કરવામાં નહીં આવે તો સંશોધનનો આખો હેતુ જ માર્યો જશે.
આ મામલો અંદાજે ૩૬ કરોડ રૂપિયાનો ચેક-બાઉન્સ સાથે જોડાયેલો હતો જેમાં એક ફર્મના પાર્ટનરને નિવૃત્ત થવા પર ચુકવણું કરવામાં આવ્યું હતું.