19 June, 2021 03:13 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે રાજ્યોને સૂચના આપી છે કે લોકડાઉન ધીમે ધીમે ખોલવાની પ્રક્રિયામાં તકેદારી રાખવી જરૂરી છે. અનલૉક કરવાની કવાયત દરમિયાન બજારોમાં ભીડ, ઘણા સ્થળોએ રસ્તાઓ પર જામ જેવી સ્થિતિ વચ્ચે આ સૂચના જારી કરવામાં આવી છે. શનિવારે ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલા પત્રમાં ટેસ્ટ-ટ્રેક અને ટ્રીટ (testing,tracking treating)ના સૂત્ર અને રસીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે કોવિડ દિશા નિર્દેશોનું પાલન કરવાની ખાતરી કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોને લખેલા પત્રમાં કહ્યું છે કે કોરોનાની સાંકળ તોડવા માટે એન્ટી કોવિડ -19 રસીકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રસીકરણની ગતિ ઝડપી કરવી જોઈએ. ગૃહ સચિવે કહ્યું કે કોરોનાની બીજી લહેર દરમિયાન ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચેપના કેસોમાં વધારો નોંધવામાં આવ્યો છે.
નોંધનીય છે કે કોરોનાના ઘટતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પ્રતિબંધ હળવા કરવાનું શરૂ કર્યું છે. તેથી લૉકડાઉન ખોલવાની પ્રક્રિયા કાળજીપૂર્વક, નિયમિતપણે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી જ શરૂ થવી જોઈએ.