12 August, 2020 12:21 PM IST | Bulandshahr | Agencies
સુદીક્ષા ભાટી
સુદીક્ષાની ઉંમર માંડ ૧૮-૧૯ વર્ષની હતી પરંતુ તેના સપનાં મોટાં હતાં. સમાજમાં બદલાવ માટે તે કંઈ પણ કરવા માગતી હતી પરંતુ મનચલોની કાયરતાભરી હરકતે એક ઝાટકામાં ખતમ કરી નાખ્યું. મામાના ઘરે જઈ રહેલ બુલંદશહરની સુદીક્ષા ભાટીની છેડતી દરમ્યાન બાઇક પરથી પડી જવાથી મોત થયું. પોલીસ આ કેસને એક રોડ અકસ્માત કહી રહી છે. તો વિદ્યાર્થિનીના પિતાનું કહેવું છે કે આ એક્સિડન્ટ નહીં મર્ડર છે.
સુદીક્ષાના પિતા જિતેન્દ્ર ભાટીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે પોલીસે હજી સુધી અમારી સાથે કોઈ સંપર્ક કર્યો નથી. ના તો કેસમાં એફઆઇઆર નોંધાયો છે. પોલીસ સ્થળ પર આવી ગઈ હતી અને બધી ખબર છે કે શું થયું હતું તો પછી એફઆઇઆર કેમ ના નોંધ્યો. જિતેન્દ્ર ભાટીએ આગળ કહ્યું કે પોલીસ તેને અકસ્માત કેસ બતાવી રહી છે પરંતુ આ અકસ્માત થયો નથી પરંતુ કરાવ્યો છે. આ જાણીજોઈને મર્ડર કરાયું છે પરંતુ એક પણ આરોપી હજી સુધી પકડાયો નથી.
તો બીજી બાજુ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ બુલંદશહરની સુદીક્ષા ભાટીના મોતના મામલા પર ટ્વીટ કરી છે. માયાવતીએ આ કેસમાં દોષીઓની વિરુદ્ધ સખત કાર્યવાહીની માગણી કરી છે.
તો બુલંદશહર પોલીસનું કહેવું છે કે ઔરંગાબાદ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે એક રોડ અકસ્માત થયો છે. પોલીસ સ્થળ પર પહોંચી, ત્યાં ખબર પડી કે સુદીક્ષા પોતાના ભાઈ સાથે મામાના ઘરે જઈ રહી હતી ત્યાં અકસ્માત થયો. પ્રત્યક્ષદર્શીથી પણ પૂછપરછ કરાઈ તો તેમણે કહ્યું કે સામેથી એક બુલેટ બાઇક આવી રહ્યું હતું.સુદીક્ષા ભાટી અમેરિકાની કૉલેજમાં અભ્યાસ કરતી હતી. તેને ૩.૮ કરોડ રૂપિયાથી વધુની સ્કૉલરશિપ મળી હતી.