10 December, 2019 08:39 AM IST | New Delhi
કર્ણાટકમાં ભાજપ સરકાર
ર્ણાટકના યેદીયુરપ્પાની બીજેપીની ચાર મહિના જૂની સરકારનું ભાવિ આજે નક્કી થઈ ગયું છે. કર્ણાટકમાં ૧૫માંથી ૧૨ સીટો પર બીજેપી વિજેતા બની છે. કૉન્ગ્રેસને માત્ર બે સીટ મળી છે. જેડીએસ તો પોતાનું ખાતું પણ ખોલી શકી નથી. હવે બીજેપી પાસે ૧૧૭ સીટો થઈ ગઈ છે. યેદીયુરપ્પાએ તો ઉત્સાહમાં એમ પણ કહી દીધું છે કે ૧૨માંથી ૧૧ને કૅબિનેટ પ્રધાનનું પદ આપીશ. બીજેપીએ અથાની, કાગવાડ, ગોક્ક, યેલ્લાપુર, હીરેકેરુર, રોનેબેન્નૂર, વિજયનગર, ચિક્કાબલ્લાપુર, કે.આર. પુરા, યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ અને કૃષ્ણારાજાપેટે સીટ પર જીત મેળવી છે. કૉન્ગ્રેસને શિવાજીનગર અને બુનાસુરુ સીટ મળી છે, જ્યારે હોસાકોટથી અપક્ષ ઉમેદવાર શરથ કુમારની જીત થઈ છે. મોટા ભાગની સીટ પર અયોગ્ય જાહેર કરવામાં આવેલા ધારાસભ્યોને મોટા અંતરની જીત મળી છે.
મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે કર્ણાટકના લોકોએ સાબિત કરી દીધું છે કે હવે કૉન્ગ્રેસ અને જેડીએસ તેમની સાથે વિશ્વાસઘાત નહીં કરે શકશે. હવે કર્ણાટકની પ્રજાએ જોડ-તોડની નહીં, પણ એક સ્થિર અને મજબૂત સરકાર બનાવી છે. ૧૫ બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં બીજેપીએ સત્તામાં રહેવા માટે ૬ સીટોની જરૂર હતી. યેદીયુરપ્પા સરકારનો ૩ વર્ષ માટે ખતરો ટળી ગયો છે. આમ ઘણા સમયથી કર્ણાટકમાં સરકાર બદલવાનાં સપનાં જોતી કૉન્ગ્રેસને આ પરિણામો મોટો ઝટકો આપી શકે છે.
પાંચમી ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ૬૭.૯૧ ટકા મતદાન થયું હતું. હવે બીજેપીની સ્થિર સરકાર બની ગઈ છે.
પરાજય બાદ સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું
કૉન્ગ્રેસના આવા કંગાળ પ્રદર્શન પર પ્રદેશઅધ્યક્ષ દિનેશ ગુંડુ રાવ અને વિપક્ષ નેતા સિદ્ધારમૈયાએ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. આ બન્ને નેતાઓએ કે. સી. વેણુગોપાલ સાથે આ અંગે ચર્ચા કર્યા બાદ પરાજયની જવાબદારી લેતાં પોતાનું રાજીનામું આપ્યું છે.