17 January, 2022 09:22 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
રિપબ્લિક ડેની પરેડ માટે પશ્ચિમ બંગાળના પ્રસ્તાવિત ટેબ્લોને બાકાત રાખવામાં આવ્યા બાદ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ નિર્ણય પર ફેરવિચાર કરવા જણાવ્યું હતું. મમતાએ લખ્યું હતું કે ‘અમારા માટે વધુ ચોંકાવનારી બાબત એ છે કે કોઈ પણ કારણ આપ્યા વિના ટેબ્લો રિજેક્ટ કરવામાં આવ્યો છે. હું આ નિર્ણયથી ખૂબ દુખી છું અને મને આઘાત લાગ્યો છે.’
આ પ્રસ્તાવિત ટેબ્લો નેતાજી સુભાષચન્દ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતીએ તેમને અને તેમની ઇન્ડિયન નૅશનલ આર્મીને સમર્પિત હતો. આ ટેબ્લોમાં વિદ્યાસાગર, રવીન્દ્રનાથ ટાગોર, વિવેકાનંદ, ચિત્તરંજન દાસ, શ્રી અરબિંદો, બિરસા મુંડા અને નઝરુલ ઇસ્લામનાં પૉર્ટ્રેઇટ્સ હતાં.
મમતાએ વધુમાં લખ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના આવા વલણથી પશ્ચિમ બંગાળના તમામ લોકોને ખૂબ દુઃખ થયું છે. બંગાળ ભારતની આઝાદીની લડાઈમાં અગ્રેસર હતું અને વિભાજન દ્વારા દેશની આઝાદી માટે ખૂબ મોટી કિંમત ચૂકવી છે.’