06 April, 2026 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંજલિ દમણિયા
અશોક ખરાત કેસમાં કૉલ ડીટેલ રેકૉર્ડ (CDR) ફક્ત ચીફ મિનિસ્ટર્સ ઑફિસમાં (CMO)થી જ મળી શકે એવા શિવસેના (UBT)ના સંસદસભ્ય સંજય રાઉતે કરેલા આક્ષેપો બાદ આ મુદ્દે હવે સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો મૂકીને ચોખવટ કરી છે.
અંજલિ દમણિયાએ એ વિડિયોમાં કહ્યું હતું કે ‘હું જયારે પણ કોઈ મુદ્દે લડું છું ત્યારે ઘણીબધી માહિતી આવતી હોય છે. એ ક્યારેય કોઈ સરકારી ઑફિસમાંથી કે CMOમાંથી આવતી નથી. હું રૉની એજન્ટ નથી. હું એક એવી ગાંડી સ્ત્રી છું જેને લાગે છે કે દેશ ક્યાંક બદલાવો જોઈએ. મને જે CDR મળ્યો એમાં મેં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ વાપરીને એમાં જે-જે ફોટો હતા તેમનાં નામ શોધ્યાં. એ શોધ્યા પછી મને એકનાથ શિંદેના ૧૭ કૉલ મળ્યા. તો હું શું કરું? એ બહાર ન લાવું? એટલા માટે કે તમને એમ લાગી રહ્યું છે કે એ CMOમાંથી મળ્યા છે એટલે? મને લાગે છે કે આવા ફાલતુ પ્રશ્નો પૂછવાનું તમે બંધ કરો, પ્રશ્ન એ પૂછવો જોઈએ કે એકનાથ શિંદે અને અશોક ખરાત વચ્ચે ૧૭ વાર કૉલ શા માટે થયા?
શિવસેનાના નેતા અને રાજ્યના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે આ બાબતે ચોખવટ કરતાં કહ્યું હતું કે ‘જો અંજલિ દમણિયા પાસે CDR પહોંચ્યો હોત તો CDRની આખી કૉપી આવવી જોઈતી હતી. જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલના લેટરહેડ પર ઇંગ્લિશમાં લખેલી કેટલી બાબતો વિશે અંજલિ દમણિયાએ ખુલાસો કરતાં કહ્યું હતું કે આ કોઈ અજાણ્યા માણસે તેને આપેલા છે. એથી આ બાબતે બીજી બધી ચર્ચા કરવા કરતાં, મેં આ પહેલાં પણ કહ્યું હતું કે આવા આરોપ-પ્રત્યારોપ કરવાને કારણે માનનીય એકનાથ શિંદેસાહેબનું કર્તૃત્વ કંઈ ઓછું નથી થઈ જવાનું, નેતૃત્વ ઓછું નથી થઈ જવાનું.’