21 May, 2025 09:06 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ અસોસિએશન ઑફ સ્ટુડન્ટ્સ ફૉર ઑલ્ટરનેટિવ પૉલિટિક્સ (ASAP) લૉન્ચ કરી હતી
આમ આદમી પાર્ટી (AAP) હવે પોતાની તાકાત વધારવાનો પ્રયાસ કરી રહી છે. એની સાથે જ યુવાનોમાં પકડ મજબૂત કરવા માટે પાર્ટીએ નવું પગલું ભર્યું છે. AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ અસોસિએશન ઑફ સ્ટુડન્ટ્સ ફૉર ઑલ્ટરનેટિવ પૉલિટિક્સ (ASAP) લૉન્ચ કરી હતી. આ દરમ્યાન AAPના નેતા મનીષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ અને અવધ ઓઝા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમ્યાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘મને ખુશી છે કે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAP લૉન્ચ થઈ છે. ઑલ્ટરનેટિવ પૉલિટિક્સ શું છે? આજે આપણા દેશમાં ઘણીબધી સમસ્યાઓ છે. જમવાનું નથી મળતું, ૭૫ વર્ષ બાદ પણ રોડ અને હૉસ્પિટલ નથી, કોઈ ખુશી નથી. આ તમામ સમસ્યાઓનું મૂળ આજની રાજનીતિ છે. કૉન્ગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP)નું રાજકારણ એક જ પાટા પર ચાલી રહ્યું છે. મેઇનસ્ટ્રીમ પૉલિટિક્સ જ તમામ સમસ્યાઓનું મૂળ છે. BJPની સરકાર બનતાં જ સ્કૂલોની ફી ૩ મહિનામાં વધી ગઈ. સરકારી સ્કૂલો બરબાદ કરી દેવાઈ છે.’