દિલ્હીમાં CAA સમર્થકો અને વિરોધીઓ વચ્ચે સંઘર્ષ : 4નાં મોત

25 February, 2020 07:37 AM IST  |  New Delhi

દિલ્હીમાં CAA સમર્થકો અને વિરોધીઓ વચ્ચે સંઘર્ષ : 4નાં મોત

ગઈ કાલે દિલ્હીમાં પથ્થરમારો કરતા પ્રદર્શનકારીઓ તસવીર : (પી.ટી.આઇ)

દિલ્હીના મૌજપુરમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો અને સમર્થકો સામસામે છે. બન્ને તરફથી જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને અનેક ગાડીઓને આગ લગાવી દેવામાં આવી હતી. આ દરમ્યાન એક વિડિયો સામે આવ્યો છે જેમાં એક છોકરો હાથમાં પિસ્તોલ લઈને ફાયરિંગ કરી રહ્યો છે. આ ફાયરિંગમાં એક હેડ કૉન્સ્ટેબલનું મોત થયું હોવાના સમાચાર છે અને બીજી અન્ય ઘટનાઓમાં કુલ ત્રણ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં.

વિડિયોમાં મૌજપુરથી જાફરાબાદવાળા રસ્તા પર એક છોકરો હાથમાં બંદૂક લઈને ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. છોકરો પોલીસની સામે ફાયરિંગ કરી રહ્યો હતો. આ છોકરાએ લગભગ ૮ રાઉન્ડ ફાયરિંગ કર્યું. પોલીસવાળાઓએ છોકરાને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે રોકાયો નહીં અને તાબડતોડ ફાયરિંગ કરતો રહ્યો. મૌજપુરમાં સીએએ સમર્થકો અને વિરોધીઓની વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો છે. ગઈ કાલની હિંસા બાદ આજે ફરી બન્ને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો. સવારે ૧૧ વાગ્યાથી શરૂ થયેલો હંગામો બપોર સુધી ચાલતો રહ્યો. બન્ને જૂથો વચ્ચે પથ્થરમારો અત્યારે થંભ્યો છે.

સવારે સ્થિતિ એટલી બેકાબૂ હતી કે પોલીસે ટિયરગૅસનો ઉપયોગ કરવો પડ્યો. આખા વિસ્તારમાં પેરામિલિટ્રી ફોર્સ ઉપરાંત દિલ્હી પોલીસના જવાન તહેનાત છે, પરંતુ ભીડ હજુ પણ ત્યાં છે. સીએએ વિરુદ્ધ રવિવારના પ્રદર્શન દરમ્યાન જાફરાબાદ, મૌજપુર અને દયાલપુરમાં થયેલી હિંસા મામલે પોલીસે ૪ એફઆરઆઇ નોંધ્યા છે. રવિવારે અલગ અલગ વિસ્તારોમાં ૧૦ પોલીસ કર્મચારીઓ સહિત એક અન્ય વ્યક્તિ પણ ઘાયલ થઈ હતી.

ઇન્સેટમાં જાફરબાદમાં ચાલી રહેલાં તોફાનો દરમ્યાન ગોળીબાર કરતો યુવક.

કેજરીવાલે ગૃહપ્રધાનની મદદ માગી

નવી દિલ્હી ઃ (જી.એન.એસ.) નાગરિકતા સુધારા કાયદાને લઈને દિલ્હીમાં ફરીવાર તણાવની સ્થિતિ ઊભી થઈ છે. આ બાબતે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારની મદદ માગી છે.અરવિંદ કેજરીવાલે એક ટ્વીટ કરીને કહ્યું કે ‘દિલ્હીના કેટલાક ભાગોમાં શાંતિ અને સુમેળને બગાડે તેવી માહિતી મળી રહી છે. કાયદો અને વ્યવસ્થાને પુનઃ સ્થાપિત કરવા હું લેફ્ટનન્ટ ગવર્નર અને માનનીય કેન્દ્રીય ગૃહપ્રધાનને નિષ્ઠાપૂર્વક વિનંતી કરું છું. કોઈને પણ વાતાવરણ બગાડવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

બીજેપી નેતા કપિલ મિશ્રા વિરુદ્ધ ફરિયાદ

આ સાથે બીજેપી નેતા કપિલ મિશ્રા વિરુદ્ધ કાલે જાફરાબાદમાં ભડકાઉ ભાષણ આપવા અને હિંસા ભડકાવવાના આરોપમાં જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ કડકડડૂમા કોર્ટના ૬ વકીલોએ નોંધાવી છે.

new delhi national news caa 2019 arvind kejriwal