14 October, 2019 01:08 PM IST | કોલ્હાપુર
અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ચૂંટણીસભાને સંબોધી હતી. પીએમ મોદી બાદ અમિત શાહે પણ કલમ-૩૭૦ મુદ્દે વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. કાશ્મીરમાંથી આર્ટિકલ-૩૭૦ને હટાવ્યા બાદ દેશમાં પહેલી ચૂંટણી યોજાવાની છે.
અમિત શાહે મહારાષ્ટ્રની પ્રજાને કહ્યું કે ‘તમારી સામે બે વિકલ્પ છે; એક તરફ પીએમ મોદી, ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેનું નેતૃત્વ છે, તો બીજી તરફ રાહુલબાબા અને શરદ પવાર છે. તમે મજબૂત સરકારની પસંદગી કરજો. નિર્ણય તમારે લેવાનો છે. દેશ અને મહારાષ્ટ્રની પ્રજાએ નરેન્દ્ર મોદીને ૩૦૦થી વધુ બેઠકો આપી અને પીએમે સંસદના પહેલા જ સત્રમાં ૭૦ વર્ષથી ચાલી આવતી કાશ્મીરની સમસ્યાને એકઝાટકે જડમૂળથી ઉખાડી ફેંકી છે.
મોદીજીએ ઍર-સ્ટ્રાઇક કરાવી, બાલાકોટના આતંકવાદીઓનાં ઠેકાણાંઓનો નાશ કર્યો, સર્જિકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના આતંકવાદીઓને ઠાર કર્યા, પરંતુ રાહુલ ગાંધી તેમને કહે છે કે તમે લોહીની દલાલી કરો છો.’