ઓમાઇક્રોન પછી કોરોનાના બીજા વેરિઅન્ટ્સ માટે પણ તૈયાર રહેજો

14 January, 2022 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાનો સાથેની સમીક્ષા-બેઠકમાં ગભરાવા પર નહીં, અલર્ટ રહેવા પર ભાર મૂક્યો

ઓમાઇક્રોન પછી કોરોનાના બીજા વેરિઅન્ટ્સ માટે પણ તૈયાર રહેજો

નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દેશમાં કોરોનાની સ્થિતિના મામલે મુખ્ય પ્રધાનો સાથે એક મહત્ત્વની મીટિંગ કરી હતી, જેમાં તેમણે સ્થાનિક સ્તરે કોરોનાને ફેલાતો રોકવા માટેના પ્રયાસ કરવા તેમ જ એને માટે નિયંત્રણો લાગુ કરતી વખતે લોકોની રોજીરોટીને ઓછામાં ઓછી અસર થાય એની ખાતરી કરવા જણાવ્યું હતું. 
વડા પ્રધાને આ મીટિંગમાં ખાસ જણાવ્યું હતું કે ‘કોરોનાના તમામ વેરિઅન્ટ્સ કરતાં આપણી તૈયારીઓ એક પગલા આગળ હોવી જોઈશે. ઓમાઇક્રોનની લહેર શમી ગયા પછી આપણે આ વાઇરસના અન્ય વેરિઅન્ટ્સ સામે લડવા માટે પણ તૈયારી રાખવી પડશે. આ પ્રયાસમાં રાજ્યો એકબીજાને સહકાર આપશે. ગૃહપ્રધાન અમિત શાહ અને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ આ મીટિંગમાં હાજર હતા. 

વડા પ્રધાને મુખ્ય પ્રધાનોને આ મહત્વની વાતો જણાવી

૧. વૅક્સિનેશનનું ખૂબ મહત્ત્વ છે. તમામ એલિજિબલ લોકોને કોરોનાની રસીના બન્ને ડોઝ મળે એ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમની ગતિ વધારવાની જરૂર છે. 
૨. આપણે ૧૦ દિવસમાં લગભગ ત્રણ કરોડ કિશોરોને રસી આપી છે અને એ ભારતની ક્ષમતા અને આપણી તૈયારીઓ સૂચવે છે.
૩. દરેક ભારતીય માટે એ ગર્વ લેવા જેવી બાબત છે કે ભારતે લગભગ ૯૨ ટકા ઍડલ્ટ વસ્તીને રસીનો પહેલો ડોઝ આપ્યો છે. દેશમાં બીજા ડોઝનું કવરેજ લગભગ ૭૦ ટકા છે.
૪. સામાન્ય લોકોની રોજીરોટી અને આર્થિક પ્રવૃત્તિઓને લઘુતમ નુકસાન થવું જોઈએ તેમ જ ઇકૉનૉમીની ગતિ જળવાઈ રહેવી જોઈએ. કોરોનાને ફેલાતો રોકવા માટેનાં નિયંત્રણો લાગુ કરતી વખતે આ બાબતોનો ખ્યાલ રાખવો જોઈશે.
૫. આપણે સતર્ક રહેવું જોઈશે અને કાળજી રાખવી જોઈશે, પરંતુ ગભરાટની સ્થિતિ ન સર્જાય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. 
૬. આપણે એ જોવું પડશે કે ઉત્સવોની આ સીઝનમાં લોકો અને વહીવટી તંત્રની સતર્કતા ઓછી ન થાય.

national news narendra modi