12 June, 2026 08:54 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્યસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ભવ્ય સફળતા મેળવતાં તમામ બેઠકો બિનહરીફ જીતી લીધી છે. સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ મધ્ય પ્રદેશમાં કૉન્ગ્રેસનાં ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ઉમેદવારીપત્ર રદ થતાં ત્રીજી બેઠકનો મુકાબલો પણ ખતમ થઈ ગયો હતો. BJPએ તેમના પર ઍફિડેવિટમાં ગુનાહિત કેસોની માહિતી છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ પ્રશાંતકુમાર મિશ્રા અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની પીઠે ચૂંટણીપ્રક્રિયા દરમ્યાન હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને કૉન્ગ્રેસના વકીલ અભિષેક મનુ સિંઘવીની દલીલો ફગાવી દીધી હતી. આ સાથે જ BJPના ત્રણેય ઉમેદવારો તરુણ ચુઘ, રજનીશ અગ્રવાલ અને મહેશ કેવટ બિનહરીફ વિજેતા બન્યા છે.
બીજી તરફ ગુજરાતમાં પણ રાજ્યસભાની ચારેય બેઠકો પર BJPના ઉમેદવારો રાજુ શુક્લ, માનસિંહ પરમાર, મુકેશ રાઠવા અને જિતેન્દ્ર કંજારિયા બિનહરીફ ચૂંટાયા છે. આ જીત સાથે ગુજરાતની રાજ્યસભાની તમામ ૧૧ બેઠકો પર હવે BJPના સંસદસભ્યો છે અને ૨૦૨૯ સુધી ગુજરાતમાંથી કૉન્ગ્રેસનો એક પણ સંસદસભ્ય ઉપલા ગૃહમાં નહીં હોય.
રાજસ્થાનમાં પણ ત્રણેય બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જેમાં BJPનાં સતીશ પુનિયા અને અલકા ગુર્જર તેમ જ કૉન્ગ્રેસના નીરજ ડાંગીનો સમાવેશ થાય છે.