07 August, 2020 10:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દુબઇથી (Dubai) કેરળ આવતા એર ઇન્ડિયાનું (Air India) વિમાન કેરળના કોઝિકોડ ઇન્ટરનેશનલ એરપોર્ટ (કરીપુર એરપોર્ટ) નજીક ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ રન-વે પરથી લપસી પડ્યા બાદ વિમાન ખીણમાં તરફ ધકેલાયું અને તે તૂટી પડ્યું અને અકસ્માતનો શિકાર બન્યું. વિમાનના પાયલોટનું પણ મૃત્યુ થયું છે. વિમાનમાં કુલ 191 પેસેન્જર હતા અને આ અંગે ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) એ આ મામલે વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે. તાજી માહિતી અનુસાર આ ક્રેશમાં 14 જણનાં મોત થયા છે, 123 ઘાયલ છે અને 15 જણાને ગંભીર ઇજા થઇ છે.
અકસ્માત બાદ રાહત અને બચાવ માટે ટીમો આવી પહોંચી છે. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ વાહનો ઘટના સ્થળે હાજર છે. માહિતી અનુસાર, આ ફ્લાઇટનો ફ્લાઇટ નંબર IX 1344 છે. વિમાન દુબઈથી સાંજે 4.45 વાગ્યે ઉડાન ભરીને ભારત પહોંચી રહ્યું હતું. વિમાનમાં 184 મુસાફરો અને બે પાઇલટ્સ સહિત કુલ 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ અકસ્માતમાં વિમાનના પાઇલટનું મોત નીપજ્યું છે.
વિમાનના બે ભાગ થઇ ગયા
મળતી માહિતી મુજબ સાંજે 7.41 વાગ્યે ઉતરતી વખતે વિમાન રનવે પરથી સ્લીપ થઇને ખીણમાં પડી ગયું હતું. ઘાયલો અને મૃતકોની સંખ્યા અંગે હાલમાં કોઈ પુષ્ટિ થયેલ માહિતી મળી નથી. અહેવાલો અનુસાર, ભારે વરસાદને કારણે રનવે પર પાણી ભરાયા હતા, જેના કારણે વિમાન રનવે પર અટકવાને બદપલે આગળ નીકળી ગયું હતું અને લગભગ 30 ફૂટ ઉંડી ખાઈમાં પડી ગયું હતું. વિમાન ખરાબ રીતે નુકસાન થયું છે અને તેના બે ભાગ થઇ ગયા છે.