10 March, 2026 07:11 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એક વકીલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની પાંચ પિટિશન દાખલ કરી હતી. આ પિટિશનોમાંથી એકમાં કાંદા-લસણમાં તામસિક કે નકારાત્મક ઊર્જા છે કે નહીં એ નક્કી કરવા માટે રિસર્ચની માગણી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે આ પિટિશનોની અરજીની સુનાવણી કરતાં ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે ઍડ્વોકેટ સચિન ગુપ્તાને ઠપકો આપ્યો હતો અને પૂછ્યું હતું કે શું તમે આ બધી પિટિશનો મધરાતે ડ્રાફ્ટ કરો છો?
ચીફ જસ્ટિસ અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચે પાંચેય પિટિશનોને અસ્પષ્ટ, વ્યર્થ અને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી હતી. અરજદારે જવાબ આપ્યો કે આ એક સામાન્ય મુદ્દો છે અને દાવો કર્યો હતો કે ખોરાકમાં કાંદાના ઉપયોગને લઈને ગુજરાતમાં છૂટાછેડા થયા છે.
કાંદા-લસણ વિશેની અરજીમાં જૈન સમુદાયની ખાવાની આદતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેઓ પરંપરાગત રીતે કાંદા-લસણ અને જમીનની અંદર ઊગતી શાકભાજીને તામસિક ખોરાક માનીને ટાળે છે. આ મુદ્દે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે તમે જૈન સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવા માગો છો.
સુપ્રીમ કોર્ટે સચિન ગુપ્તાને ચેતવણી આપી હતી કે હવે જ્યારે તમે આવી પિટિશન દાખલ કરશો તો તમને નોંધપાત્ર દંડ કરવામાં આવશે.