05 April, 2019 04:26 PM IST | નવી દિલ્હી
રાહુલ ગાંધી (PC : PTI)
રાફેલ ડીલને લઇને પીએમ મોદી ઉપર સીધા ભ્રષ્ટાચારના આરોપો લગાવનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ અંગે એક પગલુ આગળ વધીને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. હવે રાહુલે કહ્યું છે કે, ચૂંટણી બાદ રાફેલની તપાસ થશે અને ચોકીદાર જેલમાં હશે. રાહુલ ગાંધીનું આ નિવેદન એટલા માટે મહત્વનું છે કે પીએમ મોદી પર કરપ્શનના આરોપો મૂકતા તેમના માટે 'ચોકીદાર ચોર હૈ'ના નારા ઠેરઠેર લગાડાવ્યા છે. હવે મતદાન આડે થોડા દિવસ બાકી છે ત્યારે તેમણે આપેલા આ નિવેદનના ઘેરા પડઘા પડે તેવી શકયતા છે.
રાફેલ ડીલને લઇને રાહુલ ગાંધીએ ફરી વિવાદ છંછેડ્યો
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલને લઈને ફરી એકવાર વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે જો ચૂંટણી બાદ કોંગ્રેસની સરકાર આવશે તો તેઓ રાફેલ ડીલની તપાસ કરાવશે અને ચોકીદારને જેલ મોકલશે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અનેક પ્રસંગે ચોકીદાર શબ્દનો પ્રયોગ કરીને પીએમ મોદી પર પ્રહાર કરતા રહ્યા છે. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના નાગપુરમાં કાલે એક ચૂંટણી સભાને સંબોધન કરતા આ વાત કહી હતી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે પાંચ વર્ષ પહેલા નારો હતો કે 'અચ્છે દિન આયેંગે.' હવે તે બદલા ને 'ચોકીદાર ચૌર હે' થઈ ગયો છે. રાહુલ ગાંધીએ કહ્યું, 'જો ચૂંટણી પછી તેમની પાર્ટી સત્તામાં આવશે તો રાફેલ ડીલની તપાસ કરવામાં આવશે અને દોષીને સજા મળશે.'
આ પણ વાંચો : વાંચો આજના 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર
રાહુલ ગાંધીએ મોદી પર કર્યો હુમલો
પીએમ મોદી પર હુમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, રક્ષા મંત્રાલયના દસ્તાવેજ કહે છે કે નરેન્દ્ર મોદીએ મૂળ સોદામાં ફેરફાર કર્યો હતો અને એક વિમાન રૂ. ૧૬૦૦ કરોડમાં ખરીદ્યું છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીએ મોંઘા વિમાન ખરીદીને અનિલ અંબાણીને ફાયદો પહોંચાડ્યો છે. રાહુલ ગાંધીએ ઉઠાવ્યો કે જે વ્યકિત પાસે સંરક્ષણ ક્ષેત્રનો અનુભવ નથી તેને મોટી રક્ષા ડીલ આપવામાં આવી. નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઘણા લાંબા સમયથી રાફેલ ડીલને લઈને મોદી સરકાર પર હુમલો કરતા રહ્યા છે. જોકે, તેમણે એવું પ્રથમ વખત કહ્યું છે કે તેઓ રાફેલ ડીલની તપાસ કરશે. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા આપવામાં આવેલું રાહુલ ગાંધીનું આ નિવેદન આગળ જતા મોટો મુદ્દો બની શકે છે.