07 June, 2019 12:54 PM IST | ઓડિશા
પ્રશાંત કિશોર
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ વર્ષ ૨૦૨૧માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. આ ચૂંટણીના ભાગરૂપે મમતાએ ગઈ કાલે રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હતી. પ્રશાંત કિશોર મમતા બૅનરજી માટે કામ કરવા તૈયાર થઈ ગયા હોવાના અહેવાલ છે. કલકત્તામાં યોજાયેલી બે કલાક લાંબી મીટિંગમાં મમતા અને પ્રશાંત કિશોર વચ્ચે ચૂંટણી મુદ્દે સહમતી સધાઈ છે. પ્રશાંત મમતા માટે ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે.
ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોરે આંધ્ર પ્રદેશમાં સમાપ્ત થયેલી ચૂંટણીમાં વાયએસઆર કૉન્ગ્રેસના વડા જગનમોહન રેડ્ડી માટે રણનીતિ બનાવી હતી. અગાઉ પ્રશાંત કિશોરે જેડીયુ માટે અને નીતિશ કુમાર માટે પણ રણનીતિ ઘડી તેમની સરકાર બનાવવામાં મદદ કરી હતી.
આ પણ વાંચો : મોદી સરકારે 8 સમિતિઓની પુર્નરચના કરી, અમિત શાહ તમામ સમિતિમાં સભ્ય
પ્રશાંત કિશોર વડા પ્રધાન મોદીના પણ સલાહકાર રહી ચૂક્યા છે, જ્યારે વડા પ્રધાન મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. જોકે પ્રશાંત કિશોરના ભાગે ફક્ત સફળતાઓ જ નથી લખાઈ. ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કૉન્ગ્રેસ માટે રણનીતિ બનાવી હતી, પરંતુ ચૂંટણીમાં કૉન્ગ્રેસનો કારમો પરાજય થયો હતો. પ્રશાંત કિશોર હાલમાં જનતા દળ યુનાઇટેડના નેતા પણ છે.