21 December, 2019 02:02 PM IST | New Delhi
નરેન્દ્ર મોદી
પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું છે. ગુપ્તચર એજન્સી પાસેથી મળેલી માહિતી પ્રમાણે ૨૨ ડિસેમ્બરને રામલીલા મેદાનમાં બીજેપીની મહારૅલી સમયે આતંકવાદી વડા પ્રધાનને નિશાન બનાવી શકે છે. વડા પ્રધાનની સુરક્ષામાં રહેલા સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ અને દિલ્હી પોલીસને આ અંગે માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓના મતે તેમને ઈનપુટ મળ્યા છે કે જૈશ-એ-મોહમ્મદે ભારતમાં આતંકવાદી મોકલ્યા છે અને તે રામલીલા મેદાનમાં હજારો લોકો વચ્ચે વડા પ્રધાન પર હુમલો કરી શકે છે. આ રૅલીમાં એનડીએ સરકાર સાથે જોડાયેલા વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાન અને કૅબિનેટ પ્રધાનો પણ સામેલ થશે.
આ પણ વાંચો : ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દિલ્હી કોર્ટનો ચુકાદો: કુલદીપ સેંગરને આજીવન કેદની સજા ફટકારી
ગુપ્તચર એજન્સીઓએ વડા પ્રધાનની સુરક્ષા માટે ગાઇડલાઈન્સ જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ૧૨ ડિસેમ્બરના રોજ રજૂ કરવામાં આવેલો નાગરિકતા સુધારા કાયદો, ૯ નવેમ્બરના રોજ રામજન્મભૂમિ ચુકાદો અને ૫ ઑગસ્ટના રોજ કાશ્મીરમાંથી અનુચ્છેદ-૩૭૦ હટાવ્યા બાદ વડા પ્રધાન પર જોખમ વધી ગયું છે. આ ઉપરાંત પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદીઓના કેમ્પોનો નાશ કરવામાં આવ્યા બાદ મોદી પર આતંકવાદીઓનું જોખમ વધી ગયું છે. આ તમામ બાબતને જોતા તેમના પર હુમલાની શક્યતા નકારી શકાતી નથી.