07 March, 2019 09:20 AM IST | કર્ણાટક
ગઈ કાલે કર્ણાટકના કલબુર્ગીમાં જાહેર સભાને સંબોધતા નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કર્ણાટકના કલબુર્ગીમાં જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું કે ‘હું આતંકવાદ અને ગરીબી હટાવવાના પ્રયાસો કરું છું અને વિરોધ પક્ષો મને હટાવવાના ધમપછાડા કરે છે. જે વ્યક્તિને ૧૨૫ કરોડ લોકોના આર્શીવાદ મળ્યા હોય એને કોઈનાથી ડરવાની શી જરૂર? પછી ભલે સામે હિન્દુસ્તાન હોય, પાકિસ્તાન હોય ચોર હોય કે બેઈમાન હોય. ભારત દેશ અને ૧૨૫ કરોડ લોકોએ મને આ તાકાત આપી છે.’
આ પણ વાંચો : રાફેલસોદામાં મોદીની ગુનાહિત સંડોવણીના પુરાવા ધરાવતી ફાઇલો ચોરાઈ: રાહુલ
૨૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાનની આતંકવાદી છાવણીઓ પર હવાઈ દળની ઍર-સ્ટ્રાઇકના સંદર્ભમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘વિશ્વ નવા પ્રકારની હિંમતનાં દર્શન કરી રહ્યું છે. એ હિંમત મોદીની નહીં, ભારતના ૧૨૫ કરોડ લોકોની છે. દેશને મહાગઠબંધન નામની મહામિલાવટની નહીં, મજબૂત સરકારની જરૂર છે. કર્ણાટકમાં એક નિષ્ક્રિય અને ઠંડી સરકાર છે એના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી રિમોટ નિયંત્રિત મુખ્ય પ્રધાન છે. કૉંગ્રેસ અને JD (U)નું ગઠબંધન લોકોની પીઠમાં છરો મારીને સત્તા પર આવ્યું છે. કર્ણાટકની રાજ્ય સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનાના અમલમાં અસહકારનું વલણ અપનાવીને ખેડૂતો સાથે અન્યાય કરે છે. જો રાજ્ય સરકાર દીવાલ ઊભી કરવાનો પ્રયત્ન કરશે તો રાજ્યના ખેડૂતો એને તોડી પાડશે.’