13 January, 2020 04:29 PM IST | Lucknow
યોગી આદિત્યનાથ
સંશોધિત નાગરિકતા કાયદાની સામે સમગ્ર દેશમાં જ્યાં સૌથી વધુ હિંસાના બનાવો બન્યા છે એ ઉત્તર પ્રદેશમાં પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઇ) નામની મુસ્લિમ સંસ્થાના ૨૫ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં નાયબ મુખ્ય પ્રધાન કેશવ મૌર્ય દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે યુપીની હિંસામાં પીએફઆઇનો હાથ છે અને તેની પ્રવૃત્તિઓ પ્રતિબંધિત સિમી સંસ્થા જેવી હોવાથી સિમીની જેમ પીએફઆઇ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમના આ નિવેદન બાદ પોલીસે પીએફઆઇના ૨૫ સભ્યોની ધરપકડ કરી હોવાનું મનાય છે.
ઉત્તર પ્રદેશ પોલીસે પીએફઆઇના ૨૫ સદસ્યોની ધરપકડ કરી છે. આ ધરપકડ રાજ્યના અલગ-અલગ ભાગોમાંથી થઈ છે. આ તમામ સભ્યોને ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ઉગ્રવાદી ઇસ્લામિક સંગઠન પીએફઆઇનું નામ આજકાલ ખૂબ ચર્ચામાં છે.
ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) વિરુદ્ધ ફાટી નીકળેલી હિંસામાં પીએફઆઇનું નામ પ્રમુખરૂપે સામે આવ્યું છે. પીએફઆઇની શરૂઆત ૨૦૦૬માં કેરળમાં રાષ્ટ્રીય વિકાસ મોરચા (એનડીએફ)ની મુખ્ય સંસ્થા તરીકે થઈ હતી. આ પહેલાં ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પીએફઆઇ પર પ્રતિબંધ લગાવવા માટે પત્ર મોકલ્યો હતો. આ પત્ર ગૃહ મંત્રાલયે પણ સ્વીકાર્યો હતો. ઉત્તર પ્રદેશ ગૃહ વિભાગે પીએફઆઇ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલ્યો હતો.
આ કેસમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય ગુપ્તચર એજન્સીઓ અને એનઆઇએ પાસેથી ઇનપુટ લઈ શકે છે. આ સાથે ગૃહ મંત્રાલય છેલ્લા કેટલાક મહિનાઓમાં પીએફઆઇને લગતી પ્રવૃત્તિઓની સમીક્ષા કરશે.
આ પણ વાંચો : પર્યટકોને આકર્ષવા માટે વીસ કરોડના ખર્ચે થશે જલિયાંવાલા બાગનું રિનોવેશન
પીએફઆઇ સંગઠને ઉત્તર પ્રદેશ પોલીસના તમામ આરોપોનું ખંડન કર્યું છે. પીએફઆઇના રાષ્ટ્રીય મહાસચીવ એમ. મોહમ્મદ અલી જિન્હાએ જણાવ્યું કે યુપી પોલીસે સંગઠન પર પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા. નાગરિકતા સુધારો કાયદા સામે આઝાદી પછીના સૌથી મોટી લોકપ્રિય ચળવળમાં એકસાથે દેખાયું. તેમણે કહ્યું કે લોકોએ તેમના બધા મતભેદોને ધ્યાનમાં લીધા વિના, હાથ મિલાવ્યા અને દેશભરનાં શહેરો અને ગામોમાં કાયદાની વિરુદ્ધ કૂચ કરી. માત્ર પીજેપીશાસિત રાજ્યોએ વિરોધને હિંસક ગણાવીને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. મોટા ભાગનાં રાજ્યોમાં પોલીસના અધિકારીઓ લોકશાહી અધિકારને માન આપે છે.