10 October, 2019 11:43 AM IST | કૈથલ
અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે હરિયાણાના કૈથલમાં રૅલીને સંબોધન કરતા કૉન્ગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ફ્રાન્સમાં રફાલની પૂજા કરી એટલે કૉન્ગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. કૉન્ગ્રેસ દેશની પરંપરાથી ખુશ નથી.
દેશમાં વિજયાદશમી દરમ્યાન શસ્ત્રપૂજા કરવામાં આવે છે, પરંતુ કૉન્ગ્રેસને દેશની પરંપરા પસંદ નથી. બીજેપીના વિરોધીઓ હરિયાણાના ચૂંટણી મેદાનમાં ઊતર્યા છે, પરંતુ તેમને ખબર નથી કે ચૂંટણી લડવાની શરૂઆત કઈ દિશાથી કરવી.
અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવામાં આવેલા આર્ટિકલ ૩૭૦નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, કૉન્ગ્રેસે હંમેશાં આર્ટિકલ ૩૭૦ હટાવવાનો વિરોધ કર્યો. અમિત શાહે દાવો કર્યો કે હરિયાણામાં બીજેપીની સરકાર ફરીવાર બનવા જઈ રહી છે અને કૉન્ગ્રેસની સૌથી મોટી હાર થશે. તેમણે કૉન્ગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે ત્રણ પેઢીઓ જતી રહી પરંતુ હિમ્મત ના થઈ કે કલમ ૩૭૦ને હટાવી શકે. આ કામ રાજકીય નહોતું. દેશની સુરક્ષાનું કામ હતું. સમગ્ર દેશને એક સૂરમાં લાવવાની જરૂરિયાત હતી પરંતુ દુર્ભાગ્યની વાત છે કે કૉન્ગ્રેસના નેતાઓએ તેને હટાવવાનો વિરોધ કર્યો. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરવું જોઈએ કે કલમ ૩૭૦ને હટાવવી જોઈએ કે નહીં? ૭૦ વર્ષથી દેશના દરેક નાગરિકના મનમાં એક પીડા હતી કે જમ્મુ-કાશ્મીર દેશની સાથે સંપૂર્ણ જોડાયેલું ન હતું. ૫ ઑગસ્ટના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ ૩૭૦ને ઉખાડીને ફેંકી દીધી છે.
આ પણ વાંચો : પોલીસ-સ્ટેશનમાં ઇન્સ્પેક્ટરને વાંદરાએ આપ્યો મસ્ત હેડમસાજ
અમિત શાહે જે મતવિસ્તારમાં જનસભા સંબોધી તે વિસ્તારમાંથી કૉન્ગ્રેસે રણદીપ સૂરજેવાલાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.