14 November, 2019 11:26 AM IST | Jaipur
અશોક ગેહલોત
મહારાષ્ટ્રમાં સરકાર રચવા પર થયેલા વિલંબને કારણે આખરે રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિશાસન લગાડવામાં આવ્યું છે. જેના વિશે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે એક મોટું નિવેદન આપ્યું કે, આ બાબતે મહારાષ્ટ્રના રાજ્યપાલે ઉતાવળ કરી છે.
અશોક ગેહલોતે આકરા શબ્દોમાં કહ્યું કે, રાષ્ટ્રપતિશાસનનો નિર્ણય રાજ્યપાલે ઉતાવળમાં લીધો છે. તેમણે બીજા રાજકીય દળોને વિચારવા અને સમજવા માટે કંઈ સમય આપ્યો નથી. આના પરથી ખબર પડે છે કે દેશમાં આ સમયે કેવી રીતે શાસન ચાલી રહ્યું છે?
આ સાથે જ ગેહલોતે બીજેપી સરકારની ટીકા કરતાં કહ્યું કે, બીજેપી સરકાર સામ-દામ-દંડ-ભેદના માધ્યમથી ઑપરેશન લોટસની વાત કરી રહ્યા છે, જોકે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં જનતાએ બીજેપી તરફથી મોઢું ફેરવી લીધું છે.
અમને સત્તાનો લોભ નથી. હરિયાણા અને મહારાષ્ટ્રમાં બીજેપી સરકારને લાગેલા ફટકા પછી પણ તેમના વિચારો બદલાયા નથી. જો આવું જ ચાલતું રહ્યું તો લોકો બીજેપીને પાઠ ભણાવશે.