રાહુલના ગાંધીના આંખ મારવા અને ગળે મળવા પર PMએ સંસદમાં કર્યો કટાક્ષ

13 February, 2019 07:33 PM IST  |  નવી દિલ્હી

રાહુલના ગાંધીના આંખ મારવા અને ગળે મળવા પર PMએ સંસદમાં કર્યો કટાક્ષ

ફાઇલ ફોટો

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી પહેલા છેલ્લીવાર સંસદમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની સફળતાઓ ગણાવી અને સાથે જ હળવા અંદાજમાં રાહુલ ગાંધી અને વિપક્ષ પર આકરા પ્રહારો પણ કર્યાં હતાં. નરેન્દ્ર મોદીએ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનનો પણ આભાર માન્યો હતો.

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, 'અમે ક્યારેક સાંભળતા હતા કે ભૂકંપ આવશે પરંતુ પાંચ વર્ષોમાં ક્યારેય ભૂકંપ આવ્યો નથી. અનેક મોટા લોકોએ વિમાન ઉડાવ્યા પરંતુ લોકતંત્રની આ તાકાત છે કે કોઈ ભૂકંપ કે વિમાન તેને સ્પર્શી ન શક્યું. હું પહેલીવાર ગૃહમાં આવ્યો ત્યારે મારા માટે બધું નવું હતું. પહેલીવાર મને 'ગળે મળવું' અને 'ગળે પડવું'નો તફાવત સમજાયો હતો. ગૃહમાં આંખના ઇશારાઓ પણ કરવામાં આવ્યા હતા.'

ભારતના અર્થતંત્ર વિશે મોદીએ કહ્યું કે, ભારત આજે વિશ્વનું છઠ્ઠા નંબરનું અર્થતંત્ર છે. દેશનો આત્મવિશ્વાસ આજે અનેકગણો વધ્યો છે. ભારત હવે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ સામે પણ ભારતે મોટી લડાઈ લડી છે. મોદીએ ભાષણમાં કહ્યું કે, '2014માં હું તેવા સાંસદોમાંથી એક હતો. જે પહેલીવાર ચૂંટાઈને આવ્યાં હતાં. હું અહીં નવો હતો. આશરે 3 દાયકા પછી પૂર્ણ બહુમતવાળી અને આઝાદી પછી પહેલીવાર પૂર્ણ બહુમતવાળી બિનકોંગ્રેસી સરકાર 2014માં બની હતી. 2014 પછી 8 સત્ર એવા હતાં જેમાં 100 ટકાથી ઓછું થયું હોય. 16મી લોકસભામાં આપણે હંમેશા ગર્વ કરીશું કે દેશમાં પહેલીવાર સૌથી વધારે મહિલાઓ ચૂંટાઈને આવી. દેશમાં પહેલીવાર આ સરકારમાં વધારે મહિલા મંત્રી છે.’

આ પણ વાંચો: લોકસભામાં PM મોદીના પક્ષમાં બોલ્યા મુલાયમસિંહ, કહ્યું- ફરી બનો વડાપ્રધાન

પીએમ મોદીએ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના વખાણ કરતાં કહ્યું કે,’મારા ભાષણને ઈંધણ પણ ખડગેજી પાસેથી જ મળતું હતું. એક સમય હતો જ્યારે અડવાણીજી ગૃહમાં આખો વખત બેસતાં હતાં. આજે ખડગેજી પણ આખો સમય ગૃહમાં હોય છે. આપણે બધાએ તેમની પાસેથી આ શીખવું જોઈએ. તે સમયમાં પણ તેમની ઊર્જા ઓછી નથી થઈ.’ પીએમે કહ્યું,’આજે હું કોઈ સફળતા ગણાવવા નથી આવ્યો પરંતુ અનેક કામ ગૃહે પણ કર્યાં છે. વિપક્ષમાં રહીને અનેક સાંસદોએ પોતાનું યોગદાન આપ્યું.'

પીએમે કહ્યું કે,’દુનિયામાં ભારતની ઈજ્જત વધી છે કારણકે અહીં પૂર્ણ બહુમતવાળી સરકાર છે. પૂર્ણ બહુમતવાળી સરકારની અસર દુનિયામાં વધુ થાય છે. જેનો યશ મોદી અને સુષ્માજીને નહી પરંતુ 2014માં જનતાના નિર્ણયને જાય છે.’ વડાપ્રધાને જણાવ્યું કે, 'કામકાજ માટે આ કાર્યકાળ ખૂબ જ રહ્યો હતો. આ કાર્યકાળમાં 219 બિલ રજૂ થયા જેમાંથી 203 બિલ પાસ થયા છે. ગૃહના સભ્યો જ્યારે પણ આ કાર્યકાળનો ઉલ્લેખ કરશે તો જણાવશે કે તેઓ એ કાર્યકાળના સભ્ય હતાં. જ્યારે કાળાધનના નિયમો બન્યાં. આ સદને જ શત્રુ સંપત્તિ બિલ પસાર કરીને જખમમાં મલમ લગાવ્યું છે.'

narendra modi rahul gandhi sumitra mahajan mulayam singh yadav