01 May, 2020 09:26 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
ઉદ્ધવ ઠાકરે (ફાઇલ ફોટો)
પહેલા બોલીવુડ અભિનેતા ઇરફાન ખાન અને પછી ઋષિ કપૂરના નિધન થકી મહારાષ્ટ્રમાં વિતેલા બે દિવસ ખૂબ કઠોર રહ્યા. ગુરૂવાર સુધી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી પર સંકટના વાદળ ઘેરાયા હતા જે શુક્રવારે સંપૂર્ણ રીતે ખસી ગયા છે. ચૂંટણી આયોગે રાજ્યમાં એમએલસી ચૂંટણીને લીલી ઝંડી આપી દીધી છે. આયોગે 21 મેના વિધાન પરિષદમાં ચૂંટણી કરાવવાની જાહેરાત કરી છે. આ બધાં વચ્ચે ઉદ્ધવ ઠાકરે શુક્રવારે સવારે રાજ્યપાલ કોશ્યારીને મળવા પહોંચ્યા હતા.
કેમ જોખમમાં હતી ઉદ્ધવની ખુરશી?
ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બર 2019ના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા. સંવિધાનના અનુચ્છેદ 164(4) પ્રમાણે, કોઇપણ મંત્રીને (મુખ્યમંત્રી પણ) પદની શપથ લીધાના છ મહિનાની અંદર વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય બનવું આવશ્યક હોય છે. ઉદ્ધવ ઠાકરે ચૂંટણી લડ્યા વગર જ સીધા સીએમ બન્યા છે, એવામાં તેમના પર આ નિયમ લાગૂ પડે છે. તેઓ 27 મે 2020 પહેલા પરિષદમાં ચૂંટાયેલા હોવા જોઇએ.
ચૂંટણી આયોગના નિર્ણયથી ઉદ્ધવને રાહત
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ઇચ્છતા હતા કે રાજ્યપાલ કોટાની ખાલી રહેલી બે સીટોમાંથી એક પર તેમનું નામાંકન કરે. આ માટે મહારાષ્ટ્ર કેબિનેટે બે વાર પ્રસ્તાવ પણ મોકલ્યો, પણ રાજ્યપાલે તે સંદર્ભે કોઇ નિર્ણય ન લીધો. પછીથી કોશ્યારીએ ઠાકરેને એમએલસી નામાંકન કરવાનો નિર્ણય ટાળતાં પાસો ચૂંટણી આયોગ પર મૂકી દીધો અને અનુરોધ કર્યો કે આયોગ ટૂંક સમયમાં જ મહારાષ્ટ્ર વિધાન પરિષદની 9 ખાલી સીટો પર ચૂંટણી જાહેર કરે. ઇલેક્શન કમિશને ચૂંટણીને શુક્રવારે લીલી ઝંડી આપી દીધી છે. ઇસીએ કહ્યું કે ચૂંટણી દરમિયાન કોરોનાને જોતા આવશ્યક ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે 30 સભ્યોને વિધાનસભાના સભ્ય એટલે MLA પસંદ કરે છે. 7-7 સભ્યોની સ્નાતક નિર્વાચન અને શિક્ષક કોટા હેઠળ પસંદગી કરવામાં આવે છે. જેમાં રાજ્યના સાત ડિવિઝન મુંબઈ, અમરાવતી, નાસિક, ઔરંગાબાદ, કોંકણ, નાગપુર અને પૂણે ડિવિઝનમાંથી એક એક બેઠક હોય છે. આ ઉપરાંત 22 સભ્ય સ્થાનિક સંસ્થાની ચૂંટણી વિસ્તાર હેઠળ પસંદ કરવામાં આવે છે.