25 January, 2026 11:28 AM IST | Telangana | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તેલંગણમાં રખડતા કૂતરાઓની સામૂહિક હત્યાના તાજેતરના કેસમાં જગતિયાલ જિલ્લામાં એક ખાડામાં લગભગ ૩૦૦ કૂતરાઓના મૃતદેહ મળી આવ્યા હતા, જેનાથી આ મહિને રાજ્યમાં મૃત મળી આવેલા કૂતરાઓની કુલ સંખ્યા લગભગ ૯૦૦ થઈ ગઈ છે. ઍનિમલ રાઇટ્સ ઍક્ટિવિસ્ટોએ દાવો કર્યો છે કે હૈદરાબાદથી ૨૦૦ કિલોમીટર દૂર પેગડાપલ્લીમાં તાજેતરમાં થયેલી હત્યા ગુરુવારે ગામના સરપંચના આદેશ પર થઈ હતી.
સ્ટ્રે ઍનિમલ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાનાં પ્રીતિ મુદાવથની ફરિયાદના આધારે પોલીસે ગામના સરપંચ અને ગ્રામપંચાયત સચિવ તથા અન્ય લોકો વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે. પ્રીતિએ જણાવ્યું કે ગ્રામજનોએ તેમને માહિતી આપી હતી કે બે મહિલાઓ દ્વારા કૂતરાઓને ઘાતક ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં.
છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં કામા રેડ્ડી, હનુમાકોંડા અને રંગા રેડ્ડી જિલ્લામાં રખડતા કૂતરાઓની સામૂહિક હત્યાના કિસ્સાઓ નોંધાયા છે. મોટા ભાગના કિસ્સાઓમાં નવા ચૂંટાયેલા સરપંચો અને અન્ય પ્રતિનિધિઓ સામે FIR નોંધવામાં આવ્યો હતો જેમણે કથિત રીતે તેમનાં ચૂંટણી-વચનો પૂરાં કરવા માટે હત્યાનો આદેશ આપ્યો હતો.