16 August, 2025 09:07 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઑગસ્ટના તેમના ભાષણમાં યુવાનો માટે એક લાખ કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરી છે. પીએમ વિકસિત ભારત રોજગાર નામની આ યોજના હેઠળ યુવાનોને પ્રાઇવેટ કંપનીમાં પહેલી નોકરી મળવા પર ૧૫,૦૦૦ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે.
પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ જેમને પહેલી વાર નોકરી મળશે તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પૈસા તે યુવાનોને આપવામાં આવશે જેમના પગારમાંથી દર મહિને પ્રોવિડન્ટ ફન્ડ (PF)ના પૈસા કાપવામાં આવે છે.
આ લાભ કોને મળશે?
જે યુવાનો ૨૦૨૫ની ૧ ઑગસ્ટથી ૨૦૨૭ની ૩૧ જુલાઈ વચ્ચે નવી નોકરીમાં જોડાય છે અને દર મહિને તેમના પગારમાંથી PF કાપવામાં આવે છે. આનો અર્થ એ છે કે ઇન્ટર્નશિપ કરી રહેલા યુવાનોને આ લાભ મળશે નહીં.
લાભ કેવી રીતે મળશે?
આ યોજના હેઠળ ૧૫,૦૦૦ રૂપિયા બે હપ્તામાં આપવામાં આવશે.
આ યોજના હેઠળ ફક્ત યુવાનોને જ નહીં, પરંતુ કંપનીઓને પણ લાભ મળશે.
કંપનીઓને શું લાભ મળશે?
જે કંપનીઓ EPFO હેઠળ નોંધાયેલી છે અને યુવાનોને રોજગાર આપે છે તેમને લાભ મળશે, પરંતુ કંપનીએ કેટલીક શરતો પૂરી કરવી પડશે.
હવે જો પૈસાની વાત કરીએ તો કંપની દરેક યુવાન કર્મચારી માટે ૩૦૦૦ રૂપિયા સુધી મેળવી શકે છે. આ રકમ પગાર પર આધારિત છે. આ પૈસા કંપનીને ૬, ૧૨, ૧૮ અને ૨૪ મહિનાના સમયગાળા પર આપવામાં આવશે.