આદિત્યનાથના ‘૮૦ વર્સસ ૨૦’ સમીકરણનો વિવાદ થતાં બીજેપીના નેતાએ ઉકેલવાની કોશિશ કરી

12 January, 2022 09:27 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

આ કમેન્ટને ૮૦ ટકા હિન્દુ વસ્તી વિરુદ્ધ ૨૦ ટકા લઘુમતીઓ તરીકે જોવામાં આવી હતી

ફાઇલ તસવીર

દેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં હિન્દુત્વ એક મુદ્દો હોય એમ જણાય છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તાજેતરમાં ‘૮૦ વર્સસ ૨૦’ની કમેન્ટ કરી હતી જેની ચર્ચા થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ૮૦ ટકા લોકો બીજેપીને સપોર્ટ કરે છે જ્યારે ૨૦ ટકા લોકો વિરોધ કરે છે. આ કમેન્ટને ૮૦ ટકા હિન્દુ વસ્તી વિરુદ્ધ ૨૦ ટકા લઘુમતીઓ તરીકે જોવામાં આવી હતી. હવે આ કમેન્ટનો વિવાદ થતાં બીજેપીના એક નેતાએ આ ‘૮૦ વર્સસ ૨૦’ પાછળનું ગણિત સમજાવવાની કોશિશ કરી હતી. વાસ્તવમાં મુખ્ય પ્રધાને ઉત્તર પ્રદેશમાં હિન્દુઓ અને મુસ્લિમોના રેશિયો વિશે વાત કરી હોય એમ વધુ જણાય છે. આવતા મહિને આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ઉત્તર પ્રદેશમાં ૭૯.૭૩ ટકા હિન્દુ વસ્તી છે જ્યારે મુસ્લિમોની વસ્તી ૧૯.૨૬ ટકા છે, ખ્રિસ્તીઓ ૦.૧૮ ટકા જ્યારે સિખો ૦.૩૨ ટકા છે. હવે બીજેપીના નેતા આલોક વત્સે આદિત્યનાથની કમેન્ટને સમજાવતા કહ્યું હતું કે ‘યોગીએ મુસલમાનોની વાત કરી નથી. હું તમને ૨૦ ટકાની વિગતો આપું છું. આ ૨૦ ટકામાં ૯ ટકા અપરાધીઓ અને અસામાજિક તત્ત્વો, ૩.૫ ટકા જમીન પચાવી પાડનારાઓ, ૨ ટકા મહિલાઓ પર અત્યાચાર ગુજારનારાઓ અને ૨ ટકા પાકિસ્તાની તરફી લોકો અને ૧.૫ ટકા ‘વંદે માતરમ’નો વિરોધ કરનારાઓ સામેલ છે. ૨૦ ટકામાં આ બધા લોકો સામેલ છે.’ જ્યારે આ નેતાને આ ડેટાના સોર્સ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે ‘સોશ્યલ સ્ટડી, સમાજમાં રહેવાથી એના વિશે ખ્યાલ આવે છે.’

national news uttar pradesh yogi adityanath