મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ત્રણ દુર્ઘટના: 16 મજુરોના મૃત્યુ

14 May, 2020 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ત્રણ દુર્ઘટના: 16 મજુરોના મૃત્યુ

તસવીર સૌજન્ય: એએનઆઈ

કોરોના વાયરસ (COVID-19)ને કારણે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનથી ત્રસ્ત થયેલા શ્રમિક મજુરોએ પોતાના વતન જવા માટે પગપાળા પ્રવાસો શરૂ કર્યા છે. ત્યારે દરરોજ કોઈકને કોઈક દુર્ઘટના ઘટી જ રહી છે. આજે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ઘટેલી ત્રણ જુદી જુદી દુર્ઘટનાઓમાં 16 મજુરોના મૃત્યુ થયા છે. જ્યારે ત્રણેય ઘટનામાં કુલ 55 કરતા વધુ મજુરો ઘાયલ થયા છે.

મુઝફ્ફરનગર:

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં બુધવારે મોડી રાતે 11.45 વાગ્યે રોડવેઝે પગપાળા જઈ રહેલા મજૂરોને કચડી નાંખ્યા હતા. આ દુર્ઘટનામાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. તેમાંથી બે ઘાયલને સારવાર માટે મેરઠ મોકલવામાં આવ્યા હતા. મુઝફ્ફરનગર-સહારનપુર સ્ટેટ હાઈવે પર ઘલૌલી ચેકપોસ્ટ પાસે આ અકસ્માત થયો હતો. દસ મજુરો પંજાબથી પગપાળા બિહાર જઈ રહ્યા હતા. ઘલૌલી ચેકપોસ્ટથી આગળ રોહાના ટોલ પ્લાઝાની નજીક મજુરો પહોંચ્યા ત્યારે પુરઝડપે આવી રહેલી રોડવેઝ બસે તેમને કચડી નાંખ્યા હતા. જો કે, દુર્ઘટના બાદ બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. મૃતક મજુરોમાંથી છ ગોપાલગંજના રહેવાસી હતા. તેમની ઓળખ હરેક સિંહ(52), વિકાસ(22), વાસુદેવ(22)હરિશ સાહની(42) અને વીરેન્દ્ર (28) તરીકે થઈ છે. ઘાયલોની ઓળખ સુશીલ અને રામજીત તરીકે થઈ છે. હજી બે ઘાયલોની ઓળખ નથી થઈ. મેરઠ મેડિકલ કોલેજમાં તેમની સારવાર ચાલી રહી છે.

સુત્રોએ આપેલી માહિતિ મુજબ, બસમાં કોઈ મુસાફરો સવાર નહોતા. અત્યારે કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન નથી ચાલી રહ્યું, તેથી શક્ય છે કે આ બસ રેસ્કયૂ ઓપરેશનનો ભાગ હોય અને લોકોને ઉતારીને આવી રહી હોય. તેના ડ્રાઈવરને ટ્રેક કરવાના પ્રયાસો ચાલુ છે.

મધ્યપ્રદેશ:

મધ્યપ્રદેશમાં મોડી રાત્રે બે વાગે બનેલી દુર્ઘટનામાં આઠ મજુરોના મૃત્યુ થયા છે. ગુણાના કેન્ટ પીએસ વિસ્તારમાં ગઈકાલે રાત્રે આઠ વાગે ટ્રક બસ સાથે ટકરાતા આઠ મજુરોનું મૃત્યુ થયું છે. મહારાષ્ટ્રમાંથી આ મજુરો એક કન્ટરેનમાં બેસીને પોતાન ગામ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જીલ્લામાં જઈ રહ્યાં હતા. મૃતક મજુરોમાંથી છ ની ઓળખ થઈ છે. જેમના નામ ઈબ્રાહીમ, અજીત, અર્જુન, વસીમ, રમેશ અને સુધીર છે. અન્ય બે મજુરોની ઓળખ નથી થઈ.

બિહાર:

બિહારમાં થયેલી દુર્ઘટનામાં બે પ્રવાસી મજુરોના મૃત્યુ થયા છે. સમસ્તીપુરા પાસે પ્રવાસી મજુરોની બસ ટ્રક સાથે અથડાતા સકસ્માત થયો હતો. જેમાં બે મજુરોના મૃત્યુ થયા હતા અને 12 લોકો ઘાયલ થયા છે. મુઝફ્ફરપુરથી કટિહાર જઈ રહેલી બસમાં 32 મજુરો સવાર હતા.

uttar pradesh madhya pradesh bihar muzaffarnagar