અક્ષયતૃતીયા નિમિત્તે અયોધ્યામાં રામલલાને ચડાવાયો છપ્પનભોગની સાથે મહારાષ્ટ્રની ૧૧,૦૦૦ કેરીનો ભોગ

02 May, 2025 07:58 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

છપ્પનભોગમાં ૫૬ પ્રકારની ખાદ્ય સામગ્રી પ્રભુને ધરવામાં આવે છે એમાં કેટલાંક ફળો પણ હતાં.

આમ ભોગ

બુધવારે અક્ષયતૃતીયા નિમિત્તે અયોધ્યાના રામ મંદિરમાં છપ્પનભોગમાં આફૂસ કેરી, કેરીનો રસ અને ફળોનો ભોગ ચડાવવામાં આવ્યો હતો. પૂજા વખતે પહેલાં ખાસ અભિષેક કરવામાં આવ્યો હતો અને પછી રામલલાને જાતજાતની વાનગીઓ અને કેરીનો ભોગ ચડાવવામાં આવ્યો હતો. છપ્પનભોગમાં ૫૬ પ્રકારની ખાદ્ય સામગ્રી પ્રભુને ધરવામાં આવે છે એમાં કેટલાંક ફળો પણ હતાં. ભોગ માટેની કેરી ખાસ મહારાષ્ટ્રથી ગઈ હતી. ૧૧,૦૦૦ કેરીઓ અને અન્ય ફળોની ટોકરીઓ મહારાષ્ટ્રથી ખાસ રામલલા માટે અયોધ્યા મોકલવામાં આવી હતી. ફળોની સાથે આમરસની બૉટલો પણ હતી. ફળોમાં કેરી, દાડમ, સફરજન અને પાઇનૅપલ જેવાં ફળોની ટોકરીઓ પણ હતી. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પછી આ બીજી અક્ષયતૃતીયા હતી. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને અક્ષયતૃતીયા વખતે કેરીની સીઝન પીક પર હોય છે એટલે મોટા ભાગનાં મંદિરોમાં પ્રભુને કેરીનો ભોગ ધરાવવાની પરંપરા વર્ષોથી પળાતી આવી છે. 

રામ મંદિરના પહેલા માળે બની રહેલા રામ દરબારમાં લાગી ગયો પહેલો સોનાનો દરવાજો

અયોધ્યાના રામ મંદિરનું બાકીનું બાંધકામ પૂરઝડપે પૂરું કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. રામ મંદિરના પહેલા માળે આવેલા ભવ્ય રામ દરબારને પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે. રામ દરબારનો પહેલો સોનાનો દરવાજો તૈયાર થઈને આવી ગયો છે અને દરબારમાં બેસાડી પણ દેવાયો છે. રામ દરબારમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત થશે. 
રામ દરબારનો સોનાનો દરવાજો પરંપરા અને મૉડર્ન કલાકારીગરીના સમન્વયનું પ્રતીક છે. 

national news india ayodhya ram mandir culture news