23 January, 2021 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધનંજય મુંડે (ફાઈલ તસવીર)
મહારાષ્ટ્રના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન ધનંજય મુંડે પર બળાત્કારનો આરોપ મૂકીને ફરિયાદ નોંધવાના મામલામાં વળાંક આવ્યો છે. આરોપ કરનાર મહિલાએ ફરિયાદ પાછી ખેંચી લીધી હોવાનું એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું. મહિલાએ પોતે રાજકારણીઓનો હાથો બની ગઈ હોવાનું કારણ આગળ ધરીને આ ફરિયાદ પાછી ખેંચી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ફરિયાદ પાછી ખેંચનાર મહિલાને આ બાબતે નોટરી કરેલું સોગંદનામું રજૂ કરવાનું કહેવાયું છે. મહિલાએ સામાજિક ન્યાય ખાતાના પ્રધાન ધનંજય મુંડે પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ૨૦૦૬માં લગ્ન કરવાના નામે મારા પર બળાત્કાર કર્યો હતો અને સાથે તકલીફ પણ આપી હતી.
મહિલાએ આ બાબતે ૧૧ જાન્યુઆરીએ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી અને પોતાનું નિવેદન નોંધાવવા ઓશિવરા પોલીસ-સ્ટેશન ગઈ હતી. જોકે ધનંજય મુંડેએ મહિલા ખોટું બોલી રહી હોવાનું અને પોતાને બ્લૅકમેઇલ કરવા માટે તેણે ફરિયાદ નોંધાવી હોવાનું કહ્યું હતું.