કોરોનાનો ફફડાટ હોળીની ઉજવણીને ઝાંખી પાડશે

09 March, 2020 08:25 AM IST  |  Mumbai Desk | Mehul Jethva

કોરોનાનો ફફડાટ હોળીની ઉજવણીને ઝાંખી પાડશે

કોરોનાસુર: હોલિકા સાથે કોરોના રાક્ષસનું દહન આજે હોલિકા દહનના કાર્યક્રમમાં કોરોના વાઇરસનો ફફડાટ પ્રતિબિંબિત થઈ રહ્યો છે. વરલી બીડીડી ચાલના વીર નેતાજી ક્રીડા મંડળના હોળી ઉત્સવમાં કોરોના રાક્ષસનું બે માળનું પૂતળું બાળવામાં આવશે. (તસવીરઃ આશિષ રાજે)

કોરોના વાઇરસનો વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. ભારતમાં પણ કોરોના વાઇરસના અનેક કેસ પૉઝિટિવ આવ્યા છે. ભારતભરમાં લોકો કોરોનાના ભયથી ફફડી રહ્યા છે. કોરોનાના વાઇરસનો ચેપ ગિરદીમાં રહેતાં એકબીજાને લાગતો હોવાથી શહેરની ઘણી સોસાયટીએ પોતાના આયોજન પર બ્રેક મારી છે. પેરન્ટ્સ પણ બાળકો એકમેક પર પાણી ન નાખે અને તાવનો ભોગ ન બને એને લીધે ચિંતિત છે. દરમ્યાન મુલુંડમાં ૨૦થી વધુ સોસાયટીઓ ધુળેટી મનાવવાની નથી.

મુલુંડ-વેસ્ટમાં આવેલી રુણવાલ ગ્રીન્સ, એશફોર્ડ રૉયલ, વિકાસ પૅરેડાઇઝ, મુલુંડ સાગ્રીસા સોસાયટી, રુણવાલ એન્થોરમ, ગોવર્ધનનગર, ઍટમૉસ્ફિયર સોસાયટી, પ્રણવ સોસાયટી, સુમતી ધામ, ગુંડેચા ટાવર, શોભા સુમન, મૉડલ ટાઉન, નૅપ્ચ્યૂન સોસાયટી સહિત અનેક સોસાયટી ધુળેટી મનાવવાની નથી. એ સાથે મુંલુડમાં દર વર્ષે નિર્મલ મૉલની પાછળ યોજાતો જૈન જાગૃતિ સેન્ટરનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે.

મુલુંડમાં એલબીએસ રોડ પરની રુણવાલ એન્થોરમ સોસાયટીમાં રહેતા વિશાલ શાહે જણાવ્યું હતું કે ‘કોરોના વાઇરસથી લોકો મરી રહ્યા છે. એવા લોકોને શ્રદ્ધાંજલિ આપવા સોસાયટીના મેમ્બર્સ ધુળેટી નથી મનાવવાના. અમારી સોસાયટીએ એક મહિના અગાઉ કેટરિંગનો ઑર્ડર આપ્યો હતો એ અમે રદ કર્યો છે.

 મુલુંડ-ગોરેગામ રોડ પર આવેલી રુણવાલ ગ્રીન્સ સોસાયટીમાં રહેતા અશ્વિન ઠક્કર સાથે વાત કરતાતાં તેમણે જણાવ્યું હતું કે સોસાયટીમાં ધુળેટીનો ક્રાર્યક્રમ રદ કર્યો છે. આ સોસાયટીમાં ૪૦૦૦થી વધુ લોકો રહે છે. દર વર્ષે અમારી સોસાયટીમાં ધૂમધામથી ધુળેટીનો કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે કોરોના વાઇરસને લીધે સોસાયટીમાં કાર્યક્રમ રદ કર્યો છે.

એશફોર્ડ રૉયલ સોસાયટીમાં રહેતાં દિવ્યા ભાનુશાલીએ કહ્યું કે આ વખતે વિશ્વભરમાં કોરોનાના ભયથી લોકો પરેશાન છે. સોસાયટીમાં રહેતા ૧૦૦૦ જેટલા લોકો સેલિબ્રેશનમાં ભાગ લે એવી સંભાવના હતી. સોસાયટીમાં રહેતા લોકોની સલામતી પણ જરૂરી છે એટલે આ વર્ષે સોસાયટીમાં ધુળેટી ન ઊજવવાનો ફેંસલો સોસાયટીના મેમ્બરે કર્યો છે.

વિકાસ પૅરૅડાઇઝ સોસાયટીના ખજાનચી નિખિલ જસાણીએ કહ્યું કે અમારી સોસાયટી છેલ્લાં ૧૦ વર્ષથી ધુળેટી ધૂમધામથી મનાવે છે, પણ આ વર્ષે કોરોના વાઇરસને લીધે સોસાયટીના મેમ્બરો ધુળેટી રમવાના નથી.

mehul jethva coronavirus holi mumbai mumbai news