11 November, 2019 08:00 PM IST | Mumbai
આદિત્ય ઠાકરે રાજ્યના ગવર્નર સાથે કરી મુલાકાત
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય હલચલ વધી રહી છે. ભાજપની સરકાર બનાવવા પર પીછે હટ બાદ શિવસેના હરકતમાં આવ્યું છે. ત્યારે આજે એટલે કે સોમવારે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે અને અન્ય નેતાઓ રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા. રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ આદિત્ય ઠાકરે જણાવ્યું કે અમને રાજ્યની બીજી સૌથી મોટી પાર્ટી તરીકે સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. અમે રાજ્યમાં સરકાર રચવા 48 કલાક માંગ્યા હતા. પરંતુ ગવર્નરે તેને રીજેક્ટ કર્યું હતું.
સોનિયા ગાંધીએ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર ચર્ચા કરી
આ પહેલા સોનિયા ગાંધીએ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી ત્યાર બાદ સરકાર બનાવવાની કાર્યવાહીમાં વેગ આવ્યો છે. જોકે મોડી સાંજે કોંગ્રેસે પ્રેસ રિલિઝમાં કહ્યું કે આ મુદ્દે સોનિયા ગાંધીની શરદ પવાર સાથે વાત થઇ છે પરંતુ સરકાર બનાવવા મુદ્દે હજુ એનસીપી સાથે વાત કરવાની છે. આજે સરકાર બનાવવા માટે શિવસેનાને સમર્થન આપવા પર સોમવારે કોંગ્રેસ અને રાકાંપાએ ટોચના નેતાઓની બેઠક બોલાવી. શિવસેનાના એક માત્ર મંત્રી અરવિંદ સાવંતે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે.
શિવસેના-ભાજપ 30 વર્ષમાં બીજીવાર અલગ થયા
તમને જણાવી દઇએ કે શિવસેના અને ભાજપ મહારાષ્ટ્રમાં 30 વર્ષના રેકોર્ડ જોઇએ તો બીજીવાર બંને પક્ષ અલગ થઇ રહ્યા છે. બંને પક્ષોની વચ્ચે 1989માં ગઠબંધન થયું હતું. 1990ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બંને પક્ષો વચ્ચે લડાઈ હતી. 2014ની વિધાનસભાની ચૂંટણી પહેલા બંને પક્ષો અલગ થઈ ગયા હતા. બંને પક્ષોએ ચૂંટણી પણ અલગ લડી. જોકે, બાદમાં સરકારમાં બંને સાથે રહ્યાં.
કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોએ અજમેર શરીફની દર્ગાની મુલાકાત કરી
સોમવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના કેટલાક ધારસભ્યોએ રાજસ્થાનના અજમેરમાં આવેલી અજમેર શરીફની દર્ગાની મુલાકાત કરી હતી. જોકે તેમણે આ મુલાકાત બાદ કઈ પણ કહેવાથી ઈન્કાર કર્યો હતો. આજે સવારે કોંગ્રેસે રાજયની રાજકીય સ્થિતિની ચર્ચા કરવા માટે નેતાઓની મિટિંગ બોલાવી હતી. આ મિટિંગમાં મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિની વિગતે ચર્ચા થઈ હતી. જોકે પક્ષના વિરિષ્ઠ નેતાઓની બેઠક વધુ ચર્ચા માટે સાંજે 4 વાગે બોલાવવામાં આવી છે. આ વિગત પક્ષના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખરગેએ મિટિંગ બાદ પત્રકારોને આપી હતી. મહારાષ્ટ્રમાં બીજેપી સરકાર બનાવવામાં નિષ્ફળ ગયા બાદ, રાજયપાલ ભગત સિંહ કોશિયારીએ શિવસેનાને તેમની સરકાર બનાવવા માટેની લાયકાત વિશે જણાવવા કહ્યું હતું.
આ પણ જુઓ : જુઓ મુંબઈ કોર્ટના વિન્ટેજ ફોટો, જે રહ્યા છે અનેક મહત્વના ચુકાદાઓના સાક્ષી
શિવસેના સરકાર બનાવશે તો ઉદ્ધવ ઠાકરે CM બની શકે છે
બદલાઈ રહેલી સ્થિતિમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકર મુખ્યમંત્રી બની શકે છે. અગાઉ તે તેમના પુત્ર આદિત્ય ઠાકરેને સીએમ બનાવવા માંગતા હતા. બીજી તરફ આ નવા ગઠબંધનમાં નાયબ-મુખ્યમંત્રીનું પદ રાકાંપાને જઈ શકે છે. જ્યારે કોંગ્રેસને વિધાનસભામાં સ્પીકર પદ મળી શકે છે. રાજ્યપાલે શિવસેનાને સંખ્યાબળ જણાવીને આજે સાંજે 7.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. એવામાં ઉદ્ધવ પોતે સતાનું સમીકરણ બનાવવામાં પુરું જોર લગાવી રહ્યાં છે.