30 September, 2020 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ તેમ જ રાજ્યમાં છ મહિનાથી પણ વધુ સમય બાદ પહેલી ઑક્ટોબરથી રેસ્ટૉરન્ટ્સ શરૂ થશે. જોકે રાજ્ય સરકારે નવ પાનાની માગદર્શિકા (SOP) જાહેર કરી છે.
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર જેનું તાપમાન 100 ડીગ્રીથી વધુ હોય તેને રેસ્ટૉરન્ટ/હૉટેલમાં પ્રવેશવા દેવાશે નહીં. ફક્ત ડિસઈન્ફેક્ટેડ બોટલનો વપરાશ કરવાનો રહેશે તેમ જ કોન્ટેક્ટ ટ્રેસિંગના કેસમાં પાલિકા અને આરોગ્ય વિભાગને ગ્રાહકોની વિગતો આપવાની રહેશે.
એક રેસ્ટોરન્ટ માલિકે કહ્યું કે, અમને એસઓપી મળી છે અને મોટા ભાગના રેસ્ટોરન્ટ માલિકો આ પ્રસ્તાવથી સહમત છે. અમારી પ્રાથમિકતા એ છે કે બને તેટલુ જલદી શરૂઆત થાય. જો એસઓપીમાં કોઈ ખામી હશે તો અમે મુખ્ય પ્રધાન સમક્ષ તે બાબતે વાત કરીશું.
સોમવારે જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વિવિધ રેસ્ટોરન્ટ સંસ્થાઓના પ્રતિનિધિઓને મળ્યા હતા. તેમણે મુંબઈ, પુણે, ઔરંગાબાદ, નાગપુર વગેરે સ્થળોથી આવેલા આ પ્રતિનિધિઓને કહ્યું કે, એસઓપીનો અમલ, સ્વચ્છતા અને સોશ્યલ ડીસ્ટન્સિંગ એ જ તમારા રેસ્ટોરન્ટની વાનગી છે.
રેસ્ટોરન્ટ માલિકોએ કહ્યું કે, મુખ્ય પ્રધાન સાથેની વાતચીત અનુસાર અમને આશા હતી કે સરકાર 50 ટકા ક્ષમતાએ અમને કામ કરવાની મંજૂરી આપશે.
એસઓપી અનુસાર રેસ્ટોરન્ટમાં ટેબલ વચ્ચે એક મીટરનું અંતર જરૂરી છે. ગ્રાહકોએ ફેસ માસ્ક પહેર્યું હોય તો જ તેમને પ્રવેશ મળશે, તેમ જ પબ્લિક એરિયામાં હૅન્ડ સેનિટાઈઝર્સ લગાડેલા હશે. તેમ જ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ અલગ રાખવાના રહેશે, ડિસ્પોઝેબલ મેન્યુ રાખવાના રહેશે તેમ જ બફેટ સર્વિસને ટાળવાનું રહેશે. કચરાનો નિકાલ, સ્ટાફ એરિયા અને તેમના પરિવહન, યુનિફોર્મ બાબતે પણ આ નવ પાનાની એસઓપીમાં જણાવવામાં આવ્યું છે.