12 October, 2020 06:30 PM IST | Mumbai | Faizan Khan
રિપબ્લિક ટીવીના સીઈઓ વિકાસ ખાનચંદાની. તસવીર: બિપિન કોકાટે
ટીઆરપી સ્કેમના કેસમાં ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ રવિવારે રિપબ્લિક ટીવીના સીઈઓ અને સીઓઓની કલાકો સુધી પૂછપરછ કરી તેમના સ્ટેટમેન્ટ નોંધ્યા હતા. આજે સોમવારે પણ તેમને એ માટે પાછા બોલાવાયા છે. ક્રાઇમ બ્રાંચની એક ટીમ અન્ય આરોપીઓને શોધવા રાજસ્થાન ગઈ છે.
ક્રાઇમ બ્રાંચ ઑફિસરે કહ્યું હતું કે રિપબ્લિક ટીવીના સીઈઓ વિકાસ ખાનચંદાની અને સીઓઓ હર્ષ ભંડારીની ૯ કલાક સુધી પૂછપરછ કરી તેમનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. જ્યારે તેમના ડિસ્ટ્રિબ્યુશન હેડ ઘનશ્યામ સિંહને પણ પૂછપરછ માટે બોલાવાયા હતા પણ એ આવ્યા નહોતા. એથી એમની શોધ ચલાવતા એ દમણના એક રિસોર્ટમાં હોવાનું જણાઈ આવતા દમણ પોલીસને સાથે રાખી ત્યાં જઈ તેમનું સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યું હતું. તેને પણ સોમવારે ડીટીએચ ડિસ્ટ્રિબ્યુશનને લગતી બધી જ વિગતો સાથે મુંબઈ હાજર થવા કહ્યું છે. એ સાથે જ તમામને નોટિસ ઇશ્યુ કરી ટેલિવિઝનને મળતી એડ અને તેના દ્વારા થતી કમાણીની વિગતો આપવા જણાવ્યું છે.
રિપબ્લિક ટીવીના ફાઇનૅન્શિયલ ઑફિસરે ક્રાઇમ બ્રાંચને જણાવ્યું હતું કે તેઓ કોરોનાના કારણે ૧૪ ઑક્ટોબરે હાજર થઈ શકશે. કેસની તપાસ કરી રહેલી સીબીઆઇને હંસા રિસર્ચના ભૂતપૂર્વ કર્મચારી વિશાલ ભંડારીના ઘરેથી ડાયરી મળી આવી છે જેમાં મુંબઈમાં ૧૮૦૦ જગ્યાએ બેસાડેલા બેરોમિટરના લૉકેશનની માહિતી લખેલી છે.
ઑફિસરે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે એ ડાયરીમાં રિપબ્લિકન ટીવી, મરાઠી ચૅનલ ફક્ત ટીવી અને બોક્સ સિનેમા અને અન્ય ટીવી ચૅનલો ચાલુ રાખનાર એ ચોક્કસ ઘરોને કરાયેલા પેમેન્ટની વિગતો આપાવામાં આવી છે જેની તપાસ ચાલી રહી છે.