08 July, 2026 07:40 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
કૉન્ગ્રેસ મહારાષ્ટ્રના પ્રમુખ હર્ષવર્ધન સપકાળ
નાશિકમાં ગઈ કાલે ક્લાઉડબર્સ્ટ થવાની શક્યતા હતી અને ખુદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ નાશિકમાં લોકોને સાવચેત રહેવા અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટને અલર્ટ રહેવા જણાવ્યું હતું. જોકે ગઈ કાલે એવો વરસાદ આવ્યો નહોતો. મધ્યમ વરસાદ નોંધાયો હતો, પણ વાદળ ફાટ્યાં હોય એવો તો વરસાદ નહોતો જ. એક રીતે જોતાં એ સારું જ થયું કે લોકો હેરાન ન થયા, નુકસાન ન થયું, જાનમાલની હાનિ ન થઈ. જોકે બીજી બાજુ આ તક ઝડપીને વિરોધ પક્ષે સરકાર પર માછલાં ધોવાનું ચાલુ કરી દીધું છે ત્યારે એવા સવાલ ઊઠી રહ્યા છે કે હવામાન ખાતા દ્વારા આ ક્લાઉડબર્સ્ટની માહિતી આપવામાં કાચું ક્યાં કપાયું? આગાહી કરવામાં સરતચૂક ક્યાં થઈ?
સોમવારે પાલઘરમાં ધોધમાર વરસાદ પાછળ ત્યાં સર્જાયેલો વંટોળ (ટ્વિસ્ટર) હતો જે નાશિક આવે એવી શક્યતા હતી અને એથી જ એ ક્લાઉડબર્સ્ટની માહિતી અપાઈ હોવાનું કહેવાયું હતું. જોકે ગઈ કાલે અધિકારીઓનું કહેવું હતું કે એ વંટોળ ઉત્તરમાં સુરત તરફ અને દક્ષિણમાં અહિલ્યાનગરના અકોલા તરફ ફંટાઈ જવાથી નાશિકમાં ક્લાઉડબર્સ્ટ ન થયું.
નાશિક જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગઈ કાલે ઇગતપુરીમાં ૨૦૦ મિલીમીટર પડ્યો હતો, જ્યારે યંબકેશ્વરમાં ૧૨૫ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સુરગનામાં ૧૪૯ મિલીમીટર અને અન્ય તાલુકાઓમાં પણ વધતો ઓછો વરસાદ નોંધાયો હતો. નાશિકમાં ગોદાવરી પણ બે કાંઠે થતાં લોકોને સુરક્ષિત સ્થાને હટવાની સૂચના અપાઈ હતી.
કૉન્ગ્રેસનો આક્ષેપ : દેવેન્દ્ર ફડણવીસે રામ મંદિરની દાનચોરી સામેનું આંદોલન નબળું પાડવા ક્લાઉડબર્સ્ટની અફવા ફેલાવી
યંબકેશ્વરમાં મંગવારે ટ્વિસ્ટર (વંટોળ)ને કારણે ક્લાઉડબર્સ્ટ જેવી પરિસ્થિતિ સર્જાય અને ૩૦૦ મિલીમીટર વરસાદ પડી શકે એવી શક્યતા હવામાન ખાતા દ્વારા દર્શાવાઈ હતી અને રેડ અલર્ટ જાહેર કરાયું હતું. લોકોએ પૂરતી કાળજી રાખી જરૂર ન હોય તો ઘરની બહાર નીકળવું નહીં એવી ચેતવણી અપાઈ હતી જેને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ દોહરાવી હતી. જોકે મંગળવારે એ ટ્વિસ્ટર (વંટોળ) બીજી દિશામાં ફંટાતાં એ ક્લાઉડબર્સ્ટનું જોખમ ટળી ગયું હોવાનું કહેવાયું છે. હવે આ ટ્વિસ્ટરમાં પૉલિટિકલ ટ્વિસ્ટ આવ્યો છે. કૉન્ગ્રેસ મહારાષ્ટ્રના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે કહ્યું હતું કે ‘રામ મંદિરમાં ભક્તોએ જે દાનની રકમ ચોરી છે એની સામે ‘રઘુપતિ રાઘવ રાજા રામ આંદોલન’ ચાલી રહ્યું છે. નાશિકના કાળારામ મંદિરમાં અમે રામધૂન બોલાવી એ આંદોલન કર્યું હતું. અમારું એ આંદોલન મોટું ન થાય, એ કચડાઈ જાય એ માટે દેવેન્દ્ર ફડણવીસે આ ક્લાઉડબર્સ્ટની અફવા ફેલાવી. કોઈ પણ જોખમ ન હોવા છતાં યંબકેશ્વરમાં ક્લાઉડબર્સ્ટ થશે એવો હાઉ ઊભો કર્યો. દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના સુલતાન છે. રામ મંદિરની સામે આંદોલન કરી રહેલા લોકોએ ડર વ્યક્ત કર્યો છે કે જો તેઓ સાચું બોલશે તો તેમને મારી નાખવામાં આવશે. જોકે સુપ્રીમ કોર્ટ તરફથી તપાસ કરાવવામાં કેમ સરકાર ડરે છે, કારણ કે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં બધા બદમાશ ભર્યા છે.’