07 February, 2020 10:03 AM IST | Mumbai Desk
સોમવાર સવારથી ગુરુવાર રાત સુધી ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકાશે. તસવીર : અતુલ કાંબલે
વ્યસ્ત રહેતા સાયન સર્કલ ફ્લાયઓવરના સમારકામમાં થઈ રહેલા વિલંબ વિશે એક સારા સમાચાર એ છે કે એમએસઆરડીસીએ આ મહત્ત્વપૂર્ણ કનેક્ટરને ફક્ત વીક-એન્ડ પર બંધ રાખવાનો નિર્ણય લીધો છે જેનો અમલ ૧૪ ફેબ્રુઆરીથી થશે.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશને અગાઉ ૨૫ જાન્યુઆરીથી સતત ૪૫ દિવસ સુધી બ્રિજને બંધ રાખવાનું આયોજન કર્યું હતું, પરંતુ હવે આ આયોજનમાં ફેરફાર થયો છે.
હવે સાયન ફ્લાયઓવર એપ્રિલના અંત સુધી દર ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યે ટ્રાફિક માટે બંધ રહેશે. મોટરચાલકોને સોમવારે સવારે છ વાગ્યા બાદ ફરીથી ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પરના બ્રિજનો ઉપયોગ કરવા દેવાશે.
પ્રથમ ટ્રાફિક બ્લૉક શુક્રવારથી અર્થાત્ ૧૪ જાન્યુઆરીથી શરૂ થશે અને ત્યાર બાદ ફ્લાયઓવર સોમવાર ૧૭ ફેબ્રુઆરીએ જનતા માટે ખુલ્લો મુકાશે. નવા શેડ્યુલમાં ટ્રાફિકના પ્રવાહમાં કોઈ વિક્ષેપ ન ઊભો થાય એ સુનિશ્ચિત કરવામાં આવશે, કારણ કે હજારો નોકરિયાતો સાયન ફ્લાયઓવરનો ઉપયોગ કરે છે જે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને સાયન – પનવેલ એક્સપ્રેસ-વેને શહેર સાથે જોડે છે.