ઉદ્ધવ ઠાકરેની દશેરાસભાની સામે હજી આવી શકે છે સુપ્રીમનો સવાલ

24 September, 2022 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉમ્બે હાઈ કોર્ટના શિવાજી પાર્કમાં પરવાનગીની મંજૂરી આપવાના ચુકાદાને શિંદે જૂથ સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારે એવી શક્યતા

માતોશ્રીમાં શિવસૈનિકોનું અભિવાદન સ્વીકારી રહેલાં રશ્મિ ઉદ્ધવ ઠાકરે, ગઈ કાલે મુંબઈ હાઇકોર્ટે આપેલા ચુકાદા બાદ સેલિબ્રેશન કરી રહેલા શિવસૈનિકો

મુંબઈ બીએમસીએ દાદરમાં (Mumbai BMC Dadar) આવેલા શિવાજી પાર્કમાં (Shivaji Park) ઉદ્ધવ ઠાકરે જૂથને (Uddhav Thackeray Group) શિવસેનાની (Shiv Sena) પારંપરિક દશેરાસભા યોજવા માટેની અરજી ફગાવી દીધા બાદ બૉમ્બે હાઈ કોર્ટે (Bombay High Court) ગઈ કાલે બીએમસીના (BMC) વલણને અયોગ્ય ગણાવીને ઉદ્ધવ ઠાકરે જૂથને (Uddhav Thackeray Group) બીજીથી છઠ્ઠી ઑક્ટોબર દરમ્યાન શિવાજી પાર્કના મેદાનનો (Shivaji Park Ground) ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી. જોકે એકનાથ શિંદે જૂથ (Eknath Shinde Group) હાઈ કોર્ટના (High Court) ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પડકારે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બીએમસીએ શિવાજી પાર્કમાં દશેરાસભા યોજવાની પરવાનગી નકાર્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથે બૉમ્બે હાઈ કોર્ટમાં આ મામલે અરજી દાખલ કરી હતી, જેમાં કોર્ટે તમામ પક્ષોને સાંભળ્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથને શિવાજી પાર્કમાં જાહેર સભા યોજવાની પરવાનગી આપી હતી.

સૂત્રો મુજબ બૉમ્બે હાઈ કોર્ટના ચુકાદાને એકનાથ શિંદે જૂથ સુપ્રીમ કોર્ટમાં પડકારશે. કોર્ટે એકનાથ શિંદે જૂથની બાજુ સાંભળ્યા વિના ચુકાદો આપ્યો હોવાની સાથે વિધાનસભ્ય સદા સરવણકરની અમે જ હવે ખરી શિવસેના એવો દાવો કરીને કરેલી અરજી ફગાવી દીધી છે. તેમની વાત પણ કોર્ટે સાંભળી નથી એટલે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે અને સુનાવણી વહેલી તકે હાથ ધરાય એવી વિનંતી અરજીમાં કરાશે.

એકનાથ શિંદે જૂથના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે ગઈ કાલે સાંજે ચુકાદા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે  ‘કોર્ટે આપેલા ચુકાદાનો અભ્યાસ કરીશું. ચુકાદાની નકલ હાથમાં આવ્યા બાદ અમે વહેલી તકે આ મામલે નિર્ણય લઈશું. આ કાનૂની પ્રક્રિયા છે એટલે સમજી-વિચારીને એકાદ દિવસમાં સુપ્રીમ કોર્ટમાં જવા બાબતે અંતિમ વિચાર કરવામાં આવશે.’
આ સંબંધે ગઈ કાલે મોડી સાંજે એકનાથ શિંદે જૂથના પદાધિકારીઓની એક બેઠક મળી હતી, જેમાં હાઈ કોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મુદ્દે નિર્ણય લેવાનો તમામ અધિકાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આપવામાં આવ્યો હતો.

કોર્ટે બીએમસીને ફટકારી
શિવસેનાની પરંપરાગત દશેરાસભા યોજવા માટે મુંબઈ બીએમસીએ પરવાનગી ન આપવા બદલ બૉમ્બે હાઈ કોર્ટે એને ફટકારી હતી. જસ્ટિસ આર. ડી. ધાનુકા અને જસ્ટિસ કમલ ખાતાની ખંડપીઠે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે જૂથને બીજી ઑક્ટોબરથી છઠ્ઠી ઑક્ટોબર સુધી શિવાજી પાર્કનો ઉપયોગ કાયદો અને કાનૂનની વ્યવસ્થા જાળવવાની શરતે પરવાનગી આપી હતી. ખંડપીઠે મુંબઈ બીએમસીને સભા યોજવા માટે પરવાનગી નકારવા કરવા બદલ કહ્યું હતું કે આ કાનૂની પ્રક્રિયા સદ્ભાવનાનો સ્પષ્ટ દુરુપયોગ છે. 

આ લોકશાહીનો વિજય છે : ઉદ્ધવ ઠાકરે
કોર્ટના ચુકાદા બાદ મોડી સાંજે શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ‘આ લોકશાહીનો વિજય છે. અમે બાળાસાહેબ ઠાકરેએ ચીંધેલા માર્ગે જ આગળ વધી રહ્યા છીએ. તમે અત્યારે જે જુસ્સો દાખવી રહ્યા છો એ કાયમ રાખજો. આપણે શિવરાયનો ભગવો ફરકાવવાનો છે. આપણે દરેક મહાનગરપાલિકામાં વિજય મેળવવાનો છે.

આ પણ વાંચો : દશેરા રેલીને મંજૂરી મળ્યા બાદ શિવસેનાના કાર્યકરોએ કરી ઉજવણી, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું…

વિજય બાદ જૂથબાજી નહીં થવા દેતા.’ 
ઉદ્ધવ ઠાકરેએ દશેરાસભા બાબતે રાજકારણ કરનારા એકનાથ શિંદે અને બીજેપીના નેતાઓને ફટકાર્યા હતા. 

શિવસેનામાં જલ્લોસ
એક અઠવાડિયા કરતાં વધુ સમયથી શિવાજી પાર્કમાં દશેરાસભા કરવા બાબતે ચાલી રહેલા એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચેના સંઘર્ષ બાદ ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટે શિવાજી પાર્કમાં સભા કરવાની પરવાનગી આપી હોવાથી મુંબઈમાં શિવસૈનિકોએ ભારે જલ્લોસ કર્યો હતો.  ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી બંગલાની બહાર મોટી સંખ્યામાં શિવસૈનિકો પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. 

uddhav thackeray Mumbai mumbai news