11 January, 2026 09:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મેટ્રો 3ના મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાતો જાય છે. કફ પરેડ સુધીનો અંતિમ તબક્કો શરૂ થાય બાદ છેલ્લા ૩ મહિનામાં મુસાફરોની સંખ્યા બમણી થઈ છે. સપ્ટેમ્બરમાં મેટ્રો 3માં ૧૯.૭ લાખ મુસાફરો નોંધાયા હતા. ૯ ઑક્ટોબરે આખો કૉરિડોર ખૂલ્યા પછી ઑક્ટોબર મહિનામાં મુસાફરોની સંખ્યા વધીને ૩૮.૩૬ લાખ થઈ ગઈ હતી. નવેમ્બરમાં ૪૪.૫૮ લાખ મુસાફરો અને ડિસેમ્બરમાં ૪૬.૫૬ લાખ મુસાફરોએ આ લાઇનમાં મુસાફરી કરી હતી.
આખો કૉરિડોર કાર્યરત થયા પહેલાં મેટ્રો 3માં અઠવાડિયાના દિવસોમાં સરેરાશ ૭૫,૦૫૨ મુસાફરો નોંધાતા હતા. ઑક્ટોબરમાં આ સંખ્યા ઝડપથી વધીને ૧.૨૩ લાખ થઈ, નવેમ્બરમાં વધીને ૧.૩૨ લાખ થઈ અને ડિસેમ્બરમાં ૧.૪૮ લાખે પહોંચી હતી. ૧૬ ઑક્ટોબરે મેટ્રો 3માં ૧.૮૨ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. એ દિવસે આ લાઇનમાં એક દિવસમાં સૌથી વધુ મુસાફરોની સંખ્યા નોંધાઈ હતી.
વધતી માગને પહોંચી વળવા માટે પાંચમી જાન્યુઆરીથી મેટ્રો 3ની ટ્રિપ્સ વધારવામાં આવી છે. વીકડેઝમાં ટ્રિપ્સની સંખ્યા ૨૬૫થી વધારીને ૨૯૨ કરવામાં આવી છે. શનિવારે ટ્રિપ્સની સંખ્યા ૨૦૯થી વધારીને ૨૩૬ કરવામાં આવી છે, જ્યારે રવિવારે ૧૯૮ ટ્રિપ્સ રહે છે.