18 July, 2025 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થાણેના વાગળે એસ્ટેટ પાસે આવેલા રાયલાદેવી તળાવમાં તરવા માટે ગયેલા યુવાને ડૂબી જવાને લીધે જીવ ગુમાવ્યો હતો. બુધવારે સાંજે આ જ વિસ્તારમાં રહેતો બાવીસ વર્ષનો યુવાન તરવા માટે તળાવમાં ગયો હતો, પરંતુ તેને સારી રીતે તરતાં આવડતું નહોતું. તેને પાણીનો અંદાજ આવ્યો નહોતો અને તે ડૂબી ગયો હતો એમ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના અધ્યક્ષ યાસિન તડવીએ જણાવ્યું હતું. પોલીસ, ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકનો મૃતદેહ બહાર કાઢ્યા બાદ પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો.
પ્રશાસને ચોમાસા દરમ્યાન પ્રાકૃતિક જળાશયોમાં આ રીતે તરવા જવાનું ટાળવાની ચેતવણી આપી છે. વરસાદને કારણે તળાવો, જળાશયો અને ધોધમાં પાણીનું લેવલ ક્યારે વધી જાય એનો ખ્યાલ ન રહેતાં આવા અકસ્માતો બને છે એ ધ્યાનમાં રાખવું જોઈએ.