13 July, 2020 11:26 AM IST | Mumbai Desk | Agencies
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : (પી.ટી.આઇ.) રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મહારાષ્ટ્રમાં યુનિવર્સિટીઓના છેલ્લા વર્ષની પરીક્ષા યોજવા સંબંધી વલણ પર ફેરવિચાર કરવાનો અનુરોધ શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે કર્યો હતો. રાજ્યપાલ રાજ્યની યુનિવર્સિટીઓના ફાઇનલ યરની પરીક્ષાઓ યોજવાની તરફેણમાં અને શિવસેના સહિત રાજ્ય સરકાર પર બિરાજતી મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો રોગચાળાને કારણે પરીક્ષા યોજવાની વિરુદ્ધ હતા. અગાઉ રાજ્યપાલે કહ્યું હતું કે પરીક્ષાઓ નહીં યોજવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થશે અને એમ કરવાથી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની ગાઇડ લાઇન્સનો પણ ભંગ થશે.
તાજેતરમાં રાજ્યપાલના સત્તાવાર મથક રાજ ભવનના ૧૬ કર્મચારીઓના કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યાના સમાચારના અનુસંધાનમાં સંજય રાઉતે એક ન્યુઝ ટીવી ચૅનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘રાજ ભવનમાં કોરોનાનો પ્રવેશ યુનિવર્સિટીઓના ફાઇનલ યરની પરીક્ષાઓ યોજવાનો રાજ્યપાલનો આગ્રહ ખોટો હોવાનો સંકેત આપે છે. એથી રાજ્યપાલે એમના પરીક્ષાઓ યોજવાના આગ્રહી વલણ બાબતે ફેરવિચાર કરવો જોઈએ. પરીક્ષાઓ યોજવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓના જીવ જોખમમાં મુકાશે.’