20 September, 2025 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત
બાળ ઠાકરેના કટ્ટર સમર્થક સ્વ. આનંદ દિઘે બદલ શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેનાએ વિરોધ નોંધાવ્યો છે. થાણેમાં સંજય રાઉતનું પૂતળું બાળીને પ્રતીકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
સંજય રાઉતે કહ્યું હતું કે ‘આનંદ દિઘે અમારા પ્રિય સાથીદાર હતા. તેઓ શિવસેનાના નેતા પણ નહોતા કે નાયબ નેતા પણ નહોતા. તેઓ થાણે જિલ્લાના પ્રમુખ હતા. આ એક રાષ્ટ્રીય કાવતરું છે કે બાળાસાહેબની બરોબરી કરી તેમની બાજુમાં વધુ એક ફોટો (આનંદ દિઘેનો) લગાડો છો.’
સંજય રાઉતના આ નિવેદનનો વિડિયો વાઇરલ થયો હતો એથી શિંદેસેના આક્રમક બની હતી.
થાણેના સંસદસભ્ય અને શિંદેસેનાના થાણેના જિલ્લાપ્રમુખ નરેશ મ્હસ્કેએ આ બાબતે સંજય રાઉતને સંબોધતાં કહ્યું હતું કે ‘લોકો માટે રાતદિવસ કામ કર્યું અને સમાજ માટે સમય આપ્યો એથી આનંદ દિઘે ધર્મવીર કહેવાયા, ધરપકડ થઈ એટલે નહીં. વળી એ રાજકીય ધરપકડ હતી. એથી આનંદ દિઘેને બદનામ કરવાનું બંધ કરો, નહીં તો થાણેમાં જે છે એ શિવસેના પણ પૂરી થઈ જશે.’