19 July, 2020 12:39 PM IST | Mumbai Desk | Agencies
દેવેન્દ્ર ફડણવીસ (ફાઇલ ફોટો)
શિવસેનાએ શનિવારે બીજેપીના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે પોતાની ભૂમિકા અસરકારક રીતે ભજવી રહ્યા છે.
શિવસેનાએ એમ પણ જણાવ્યું હતું કે ફડણવીસે કોવિડ સામેની લડાઈમાં રાજ્યની જાહેર આરોગ્ય વ્યવસ્થા મામલે સંતોષ વ્યક્ત કર્યો હતો, જેનાથી સરકારનું તથા કોરોનાના દરદીઓનું મનોબળ વધ્યું છે.
‘વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન જેટલા યુવાન અને જુસ્સાસભર હતા, તેટલા જ આજે પણ છે. તેમનું તાજેતરનું એક નિવેદન પ્રકાશમાં આવ્યું છે, જેમાં તેઓ પક્ષના એક નિકટના સહ કર્મચારીને જણાવી રહ્યા છે કે જો તેમનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવે તો તેમણે સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં દાખલ થવું જોઈએ’ એમ સેનાએ પક્ષના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં જણાવ્યું હતું. ‘આ નિવેદન બદલ ફડણવીસની પ્રશંસા થવી જોઈએ, તેમ છતાં તેઓ ટ્રોલ થઈ રહ્યા છે, જે યોગ્ય નથી’, એમ તેમાં જણાવાયું હતું.
સેનાએ જણાવ્યું હતું કે ફડણવીસ કોવિડના રાહતકાર્ય તથા આરોગ્ય સુવિધાઓ પર દેખરેખ રાખવા માટે રાજ્યનો પ્રવાસ ખેડી રહ્યા છે અને તેમણે મહામારી સામે રાજ્ય સરકારે કરેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. ‘તેમને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવા જોઈએ તે મુજબના તેમના નિવેદનને સ્ટન્ટ ન ગણાવી શકાય. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જો તેમને કંઈ પણ થશે તો સરકારી આરોગ્ય તંત્ર તેમને સલામત રાખશે.