20 November, 2020 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પનવેલની શાળામાં ચાલી રહેલું સેનિટાઇઝેશન
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ શુક્રવારે જાહેરાત કરી કે શહેરની બધી જ શાળાઓ 31મી ડિસેમ્બર સુધી બંધ રહેશે. આ પહેલાં મહારાષ્ટ્ર સરકારે પહેલાં જાહેરાત કરી હતી કે 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા અને જુનિયર કૉલેજિઝ 23મી નવેમ્બરથી ખૂલશે. જો કે મુંબઇમાં કોરોનાવાઇસની સ્થિતિ જોતાં BMCએ જાહેરાત કરી હતી કે શાળાઓ 31મી ડિસેમ્બર સુધી બંધ રખાશે. મુંબઇના મેયર કિશોરી પેડનણેકરે આ જાહેરાત કરી હતી અને કહ્યું કે, "COVID-19ના કેસિઝ વધી રહ્યાં છે તે જોતાં આ નિર્ણય લેવાયો છે અને 23મી નવેમ્બરે શાળાઓ નહીં ઉઘડે."
શાળાઓ ફરી ખોલવાની જાહેરાત 10મી નવેમ્બરે મહારાષ્ટ્ર સરકારે એક નોટિસ આપી કરી હતી જે અનુસાર 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા અને જુનિયર કૉલેજિઝ 23મી નવેમ્બરથી શરૂ કરવાની વાત હતી. આ તમામ COVID-19ના પ્રોટોકોલ અનુસાર થવાનું હતું. આ સાથે હોસ્ટેલ, રાજ્ય સંચાલિત રેસિડેન્શિયલ સ્કૂલ્સ જેમ કે આશ્રમ શાળાઓ અને આંતરરાષ્ટ્રીય સ્કૂલ પણ આ જ દિવસ ખુલવાની હતી પણ હવે આ નિર્ણય મુંબઇ પુરતો બીએમસીએ બદલ્યો છે.