27 March, 2021 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત (ફાઈલ તસવીર)
શિવસેનાના નેતા સંજય રાઉતે ગઈ કાલે જણાવ્યું હતું કે દિલ્હીના કેટલાક લોકો યુપીએ-૨ રચવાની તૈયારી કરી રહ્યા છે અને આથી જ જો વિરોધ પક્ષે બીજેપી સામે લડત આપવી હોય તો વર્તમાન યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)ને મજબૂત કરવાની જરૂર છે.
એનસીપીના પ્રમુખ શરદ પવારે યુપીએનું સુકાન સંભાળવું જોઈએ એવું નિવેદન આપ્યાના એક દિવસ બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સંજય રાઉતે આ ટિપ્પણી કરી હતી.
પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતાં સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘ત્રીજો, ચોથો કે પાંચમો મોરચો રચવાના
ડ્રામા અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે. આથી હાલ યુપીએને મજબૂત કરવાની જરૂર છે. દિલ્હીના કેટલાક લોકો યુપીએ-૨ રચવા માટે તૈયારી કરી રહ્યા છે. આથી હું ચિંતાથી પ્રેરાઈને આમ કહી રહ્યો છું કે યુપીએ-૧ને મજબૂત કરવાની જરૂર છે. જો યુપીએ-૨ની રચના થશે તો વર્તમાન યુપીએનું મહત્ત્વ ઘટી જશે અને પછી વિરોધ પક્ષોના હાથમાં કશું નહીં રહે.’