29 August, 2019 01:55 PM IST | મુંબઈ | રૂપસા ચક્રબર્તી
એઇડ્સ
દરદીઓની આવશ્યકતાના પ્રમાણમાં લોહીની બોટલ્સની અછત હોવા છતાં રક્તદાન વેળા દાતાના સરનામાની ખાતરી માટે આધાર કાર્ડ બતાવવાની શરત અનિવાર્ય બનાવવામાં આવી છે. ખોટા સરનામાને કારણે એચઆઇવી રિઍક્ટિવ ધરાવતા રક્તદાતાઓને સારવાર અને કાઉન્સેલિંગ માટે શોધવામાં મુશ્કેલી પડતી હોવાનું સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલના ધ્યાનમાં આવ્યા પછી આ નિયમ બહાર પાડવામાં આવ્યો હતો. કાઉન્સિલે તમામ રક્તદાતાઓના સાચા સરનામા મેળવવા માટે મહારાષ્ટ્ર સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને ડિરેક્ટર ઑફ હેલ્થ સર્વિસીસને પત્રો લખ્યા હતા.
આ પણ વાંચો : જુહુતારા રોડ બ્રિજ પરનાં હાઇટ બૅરિયર્સને બાપ્પાના કારણે છ દિવસ માટે હટાવાશે
સામાજિક સંસ્થાઓના ઉપક્રમે આયોજિત રક્તદાન શિબિરોમાં જુદા જુદા ગૃપ્સનું લોહી એકઠું કરવામાં આવે છે. સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલના ધારાધોરણો પ્રમાણે શારીરિક સ્થિતિ ધરાવતી કોઈપણ વ્યક્તિ એ શિબિરોમાં રક્તદાન કરી શકે છે. ત્યાં રક્તદાન માટે ઓળખના પુરાવાની જરૂર રહેતી નહોતી. પરંતુ એ સંજોગોમાં ચકાસણીમાં જેમનું લોહી એચઆઈવી પોઝિટિવ જણાયું હોય એમનો સંપર્ક સાધવામાં મુશ્કેલી થતી હતી. કારણકે ઘણા રક્તદાતાઓ ખોટા કે અધુરા સરનામા આપતા હોય છે.
આ સમસ્યાના ઉકેલ માટે સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલના સરકારી પ્રતિનિધિએ ૧૩ ઑગસ્ટે બેઠક યોજીને રક્તદાતાઓના સરનામા મેળવવા રક્તદાન માટે આધાર કાર્ડ કે મતદાર ઓળખપત્ર બતાવવાનો નિયમ દાખલ કર્યો હતો.