25 July, 2022 11:33 AM IST | Mumbai | Rohit Parikh
મસ્જિદ બંદર સ્ટેશન પર છાપરાં વગરનાં પ્લૅટફૉર્મ-નંબર ત્રણ અને ચાર. વર્ષોથી અહીં છાપરું નથી
સેન્ટ્રલ રેલવેના મસ્જિદ બંદર રેલવે-સ્ટેશન પર રોજ હજારો વેપારીઓ અને લાખો કર્મચારીઓ અવરજવર કરે છે. જોકે આ વેપારીઓ અને કર્મચારીઓને ચોમાસામાં લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી એક ટાસ્ક બની ગયો છે. આ ટાસ્કને અનુકૂળ બનાવવા માટે અને લોકલ ટ્રેન પકડતી વખતે કે ઊતરતી વખતે સ્ટેશન પર વરસાદના પાણીથી ભીંજાઈ ન જાય એ માટે રેલવે પ્રશાસન મસ્જિદ બંદરના પ્લૅટફૉર્મ નંબર ત્રણ અને ચાર પર છાપરાં મૂકવાની યોજના બનાવી રહ્યું છે. અત્યારે આ સ્ટેશન પર પ્લૅટફૉર્મની પહોળાઈ બહું જ ઓછી હોવાથી રેલવે-પ્લૅટફૉર્મ પર છાપરાં મૂકવામાં આવ્યાં નથી. આવી જ હાલત પરેલ સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર એકની છે.
રેલવે પ્રશાસન આ બંને સ્ટેશનો પર હવે છાપરાં મૂકવાની યોજના બનાવી રહ્યું છે. એનાથી હવે આ સ્ટેશનો પર ચોમાસામાં વરસાદના પાણીમાં ભીંજાવામાંથી મુસાફરોને રાહત મળશે. આ બાબતની માહિતી આપતાં એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ એન્જિનિયર યોગેશ ચતુર્વેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે ઘણાં વર્ષોથી રેલવેના પૅસેન્જરો તરફથી મસ્જિદ બંદર અને પરેલ સ્ટેશન પર છાપરાં ન હોવાની ફરિયાદ આવી રહી છે. આ છાપરાં ન હોવાથી સૌથી મોટી સમસ્યા મુસાફરોને ચોમાસામાં ભોગવવી પડે છે. એને કારણે મુસાફરો ટ્રેનમાંથી ઊતરતી વખતે કે ચડતી વખતે ભીંજાઈ જાય છે. ઉપરાંત લોકલ ટ્રેનની રાહ જોતી વખતે પણ મુશળધાર વરસાદમાં તેઓ પલળી જતા હોય છે. જોકે છાપરાં મૂકવા માટે અમે ટેક્નિકલ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાથી વર્ષોથી આ બંને સ્ટેશનોનાં અમુક પ્લૅટફૉર્મ પર અમે છાપરાં મૂકવાની વ્યવસ્થા કરી શક્યા નહોતા.’
હવે અમે લાંબા ગાળાની છાપરાં મૂકવાની યોજના બનાવી છે એમ જણાવીને યોગેશ ચતુર્વેદીએ કહ્યું હતું કે ‘લાંબા ગાળાનાં આ સ્ટ્રક્ચર્સ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના છતના આવરણ જેવાં જ હશે. રેલવે પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ પરંપરાગત રૂફ-કવર શેડની તુલનામાં કવર શેડ ઇન્સ્ટૉલ કરવાનું સરળ છે. પ્લૅટફૉર્મ પર છાપરાં ન હોવાથી ટ્રેનની રાહ જોતી વખતે ભીંજાવાથી બચવા મુસાફરોએ છત્રીનો ઉપયોગ કરવો પડે છે, પરંતુ હવે આ મુસાફરોને ટૂંક સમયમાં મોટી રાહત મળશે.’