28 December, 2023 07:45 AM IST | Mumbai | Shailesh Nayak
અજય બાણ સાથે ગબ્બર પર જય ભોલે ગ્રુપના સભ્યો
અયોધ્યામાં પ્રભુ શ્રીરામની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં આવેલી શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજીથી અયોધ્યા ખાતે પંચ ધાતુમાંથી બનેલું પાંચ ફુટનું અજય બાણ મોકલવામાં આવશે. આ અજય બાણની ગઈ કાલે અંબાજીના ગબ્બર પર પૂજા કરવામાં આવી હતી.
રાવણના સંહાર માટે અંબેમાતાએ પ્રભુ શ્રીરામને આપેલા બાણની પૌરાણિક કથાથી પ્રેરાઈને અમદાવાદના જય ભોલે ગ્રુપના દીપેશ પટેલે ૧૧.૫ કિલોનું પાંચ ફુટ લાંબું અજય બાણ બનાવ્યું છે. આ અજય બાણ અયોધ્યા મોકલતાં પહેલાં જય ભોલે ગ્રુપના સભ્યો એ લઈને ગઈ કાલે અંબાજી ગયા હતા. અંબાજીમાં ગબ્બર પર અંબેમાતાની અખંડ જ્યોત સમક્ષ અજય બાણ પૂજા માટે મુકાયું હતું. બનાસકાંઠાના કલેક્ટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચૅરમૅન વરુણકુમાર બરનવાલની ઉપસ્થિતિમાં ૫૧ શક્તિપીઠના બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે અજય બાણની પૂજા કરી હતી.
દીપેશ પટેલે કહ્યું હતું કે ‘ત્રેતા યુગમાં અંબેમાતાએ ભગવાન રામને અજય બાણ આપીને આસુરી શક્તિનો વિનાશ કર્યો હતો. અત્યારે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બની રહ્યું છે અને પ્રભુની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આ પૌરાણિક કથા પરથી અજય બાણ બનાવવાનો વિચાર આવ્યો અને પાંચ દિવસમાં પંચ ધાતુમાંથી પાંચ ફુટ લાંબું અને ૧૧.૫ કિલો વજન ધરાવતું અજય બાણ બનાવ્યું છે. ૧૫ કારીગરોએ રાત-દિવસની મહેનત કરીને આ બાણ બનાવ્યું છે, જેની પાછળ પાંચ લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. આ અજય બાણને અંબાજી લઈ આવ્યા છીએ અને અયોધ્યામાં રામમંદિરમાં આ અજય બાણને ૧૦ જાન્યુઆરીએ અર્પણ કરવામાં આવશે.’
પહેલીથી સાતમી જાન્યુઆરી દરમ્યાન ભક્તજનો અમદાવાદમાં આ અજય બાણનાં દર્શન કરી શકશે.